

મોરબીના લખધીરપુર રોડ પર આવેલી એક ખાનગી કંપનીના લેબર ક્વાર્ટરમાંથી ૧૩ વર્ષનો સગીર રહસ્યમય સંજોગોમાં ગુમ થઇ ગયો હતો. પિતાની મંજૂરી વગર કોઈ અજાણ્યો શખ્સ સગીરનું અપહરણ કરી ગયો હોવાની આશંકા સાથે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
પ્રાપ્ત માહિતી મુજબ, મૂળ બિહારના અને હાલ લખધીરપુર રોડ પર ‘ઈનબોક્ષ ઓટોપેક’ કંપનીમાં મજૂરી કામ કરતા તસલીમખાન સુભાનખાન નટનો ૧૩ વર્ષીય પુત્ર અબ્દુલ ગત તારીખ ૨૭ના રોજ બપોરના સાડા ત્રણેક વાગ્યાના સુમારે કંપનીના ક્વાર્ટર પાસેથી ગુમ થયો હતો. સગીર તેના પિતાને કામના સ્થળે મળીને પરત ફર્યા બાદ જોવા મળ્યો નહોતો. પરિવારજનો અને કંપનીના માલિકે આસપાસના વિસ્તારમાં શોધખોળ કરવા છતાં અબ્દુલનો કોઈ પત્તો લાગ્યો ન હતો. ગુમ થનાર સગીરે પીળા કલરનો ટપકી વાળો શર્ટ અને બ્લુ નાઈટપેન્ટ પહેરેલ છે, તેમજ તેની દાઢી પર જૂના વાગ્યાનું નિશાન છે. અંતે પિતાએ અજાણ્યા ઇસમ વિરુદ્ધ અપહરણની ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


