


પુત્ર સાથે થયેલી બોલાચાલી બાદ સમજાવવા ગયેલા પિતા પર એક શખ્સે છૂટા પથ્થરો વડે હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી દેવામાં આવી હતી. મોરબી-૨ ના ઇન્દિરાનગર વિસ્તારમાં બનેલી આ ઘટનામાં ઈજાગ્રસ્ત પિતાની ફરિયાદ પરથી આરોપી સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

બનાવની વિગત મુજબ, મોરબી-૨ ના ઇન્દિરાનગરમાં ખોડિયાર માના મંદિર પાછળ રહેતા ૩૬ વર્ષીય દેવજીભાઈ બેચરભાઈ ઉપસરીયાએ મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં આરોપી ભાવેશ ઉપસરીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરિયાદીના પુત્રએ સ્થાનિક રહેવાસી ભાવેશ ઉપસરીયા સાથે કોઈ બાબતે બોલાચાલી અને ઝઘડો થયો હતો. આ બાબતની જાણ થતાં દેવજીભાઈ ભાવેશને સમજાવવા માટે ગયા હતા. જોકે, આવેશમાં આવેલા ભાવેશે તેમને ગાળો આપીને છૂટા પથ્થરોના ઘા ઝીંકી દીધા હતા. આ હુમલામાં દેવજીભાઈને નાકના ભાગે તથા ડાબા પગના થાપાના ભાગે ફેક્ચર જેવી ગંભીર ઈજાઓ પહોંચી હતી. હુમલાખોરે જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. ઘટના બાદ આરોપી ફરાર થઈ જતાં તેની શોધખોળ ચાલી રહી છે.