

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ત્રાજપર ખારી પાસે પોતાના ઘરે સીડી પરથી ઉતરતા સમયે અચાનક પગ લપસી જતાં એક ૫૦ વર્ષીય પ્રૌઢનું મોત નીપજ્યું હતું. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તજવીજ હાથ ધરી છે.
બનાવની વિગતો અનુસાર, ત્રાજપર ખારી વિસ્તારમાં રહેતા ૫૦ વર્ષીય મહેશભાઇ ઘોઘાભાઇ સનુરા ગત વહેલી સવારે પોતાના રહેણાંક મકાનમાં હતા, ત્યારે સીડી પરથી અચાનક નીચે પડી ગયા હતા. સીડી પરથી પછડાતા તેમને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી, જે ઈજાઓ જીવલેણ સાબિત થઈ હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. હાલ મોરબી સિટી બી ડિવિઝન પોલીસે કાયદેસરની નોંધ કરી વધુ તપાસ શરૂ કરી છે.


