

મોરબીમાં સમસ્ત જૈન સમાજ દ્વારા સંયુક્ત રીતે સમગ્ર વિશ્વને અહિંસાનો સંદેશ આપનાર પરમ તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક ૨૬૨૪ ની ઉજવણી થઈ રહી છે ત્યારે પૂ. ગચ્છાધિપતિ આચાર્ય શ્રી ભાવચંદ્રજી સ્વામીની નિશ્રામાં ગઈકાલે તા. ૨૯ – ૩ ને રવિવારે “સપના સોહામણાં વીરના વધામણાં” કાર્યક્રમમાં ૧૪ સ્વપ્ના ની ઉછામણી માં દાન દાતાઓ વરસી પડ્યા અને ૧૬ લાખ ૧૬ હજાર રૂપિયાની ઉછામણીની રકમ એકઠી થઈ. આવો પ્રસંગ આવો ઉમંગ શ્રી સ્થા. જૈન સંઘ સોનીબજારમાં પહેલી જ વાર થયો તેમાં આચાર્ય ભાવગુરુદેવનું પુણ્ય કામ કરી ગયું તેમ દરેકની ધારણાં છે.
તા. ૩૧ મંગળવારે દરબાર ગઢ થી ભવ્ય શોભાયાત્રા ચાંદીના રથ માં તથા ૧૪ સ્વપ્ન રત્ન સાથે જૈન બેન્ડ ગ્રુપ વાજતે ગાજતે પ્રભુ મહાવીર સ્વામી ની મોટી છબી અને બગી ઑ ફ્લોટ સાથે દરેક જૈન સંઘ, મંડળો સ્વયં સેવકો તથા વિશાળ સંખ્યા માં જૈન સમાજના શ્રાવક શ્રાવિકાઓ શોભાયાત્રા માં જોડાશે. નાની બાળાઓ દ્વારા માથે કળશ તથા બાળકો હાથ માં ધર્મ ધ્વજ લઈ નીકળશે ત્યાં લાઇવ રંગોળી તથા લકી ડ્રો ના કુપન તથા પ્રભાવના કરવામાં આવશે.
આ શોભાયાત્રા દરબાર ગઢ દેરાસરજીથી પ્રયાણ કરી ગ્રીન ચોક, નેહરુગેટ, સાવસર પ્લોટ, વસંત પ્લોટ થઈ બોયઝ હાઈસ્કૂલ ખાતે ધર્મ સભામાં ફેરવાય જશે. દરમિયાન રસ્તા માં સરબત, છાશ, ઠંડા પાણી તથા ઉકાળેલા પાણી ની વ્યવસ્થા કરવામાં આવેલ હોઈ. આ પ્રસંગે ગચ્છાધિપતિ પૂજ્ય ભાવચંદ્રજી સ્વામી ” મારા મનના મહાવીર, મારા મન માં મહાવીર” વિષય પર મંગલ પ્રવચન આપશે. દરમિયાન ગઈ કાલે ૫૫૩ આયંબિલની ઓળી પણ પહેલી જ વખત થઈ છે. આ શોભાયાત્રા માં મોરબીના તમામ જૈન બંધુ ઓ અડધો દિવસ વ્યાપાર ધંધા બંધ રાખી જોડાશે તેમ એક યાદી માં જણાવેલ છે.




