


મોરબીના માળીયા ફાટક પાસે આવેલા કાંતિનગર વિસ્તારમાંથી એક ૮ વર્ષનો માસૂમ બાળક થઇ ગયો છે. શાકભાજી લેવા ગયેલો બાળક મોડી સાંજ સુધી પરત ન ફરતાં આખરે પરિવાર દ્વારા મોરબી સીટી બી ડીવીઝન પોલીસ મથકમાં અજાણ્યા શખ્સ સામે અપહરણની ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે આ મામલે સગીરની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા છે.

મળતી વિગત મુજબ, મૂળ ઉત્તર પ્રદેશના અને હાલ મોરબીમાં માળીયા ફાટક પાછળ કાંતિનગરમાં રમેશભાઈની ઓરડીમાં રહેતા ડોલીબેન જાટવે મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું છે કે ફરિયાદીના ૮ વર્ષ, ૮ મહિના અને ૨૪ દિવસના સગીર ભાઈ સત્યાને ગત તારીખ ૦૮/૦૬ ના રોજ બપોરે સાડા ચારેક વાગ્યાના અરસામાં શાકભાજી લેવા માટે મોકલવામાં આવ્યો હતો. જોકે, લાંબા સમય સુધી બાળક ઘરે પરત ન ફરતાં પરિવારે તેની આસપાસના વિસ્તારમાં શોધખોળ હાથ ધરી હતી, પરંતુ તેનો કોઈ પત્તો લાગ્યો ન હતો. આથી, કોઈ અજાણ્યો ઈસમે આ માસૂમ બાળકને લાલચ-ફોસલાવી વાલીપણામાંથી અપહરણ કરી ગયો હોવાની શંકા સાથે ફરિયાદીએ મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધીને બાળકને વહેલી તકે શોધી કાઢવા માટે અલગ-અલગ દિશામાં તપાસ શરૂ કરી છે.