મોરબી જીલ્લામાં ૨૪ કલાકમાં અપમૃત્યુના ત્રણ બનાવો

મોરબી જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં અલગ-અલગ ત્રણ અપમૃત્યુના બનાવ બન્યા છે. જેમાં કામકાજ દરમિયાન ઇલેક્ટ્રિક શોર્ટ લાગવાથી એક મહિલાનું, ફેક્ટરીમાં કન્વેયર બેલ્ટમાં આવી જવાથી એક યુવાનનું મોત થયું હતું તો પત્નીએ રસોઈ ન બનાવતા માઠું લાગી આવતા એક શ્રમિકે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. પોલીસે આ ત્રણેય મામલે આગળની તપાસ હાથ ધરી છે.

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથકની હદમાં આવતા લીલાપર રોડ પર સ્થિત વિદ્યુત સ્મશાનમાં સફાઈ કરતા ૫૨ વર્ષીય રહેમતબેન ઇસ્માઇલભાઇ જેડા કામ કરી રહ્યા હતા, ત્યારે અચાનક દિવાલ પરના ઇલેક્ટ્રિક બોર્ડના સંપર્કમાં આવી ગયા હતા. વીજ કરંટ લાગતા તેમને તાત્કાલિક ૧૦૮ મારફતે મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા, પરંતુ ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા.

બીજી ઘટના મોરબી તાલુકા પોલીસ મથક હેઠળના બેલા ગામની સીમમાં બની હતી. રોમામાં ફેક્ટરીમાં કામ કરતા ૩૫ વર્ષીય વીરલભાઇ અલાવે નામનો શ્રમિક યુવાન કામ કરી રહ્યો હતો, તે દરમિયાન અચાનક તેનો હાથ ચાલુ કન્વેયર બેલ્ટમાં આવી ગયો હતો. આ અકસ્માતમાં ગંભીર ઈજાઓ થવાને કારણે અને શ્વાસ રૂંધાવાને લીધે યુવાનનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

ત્રીજી ઘટના વાંકાનેર તાલુકાના ઢુવા ઓવરબ્રીજ પાસે બની હતી. મૂળ પશ્ચિમ બંગાળના અને હાલ રવિરાજસિંહ સિંધવની રૂમમાં ભાડે રહેતા ૨૨ વર્ષીય સંજીતભાઇ મરજીતભાઇ પાસલાએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. પ્રાથમિક વિગત મુજબ, સંજીતભાઇની પત્નીએ સમયસર રસોઈ બનાવી ન હતી, જે બાબતનું તેમને મનમાં લાગી આવતા તેમણે લેબર ક્વાર્ટરના રૂમમાં પંખા સાથે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી.

Leave A Reply

Your email address will not be published.