



મોરબી જિલ્લામાં કટોકટીના સમયે પીડિતો અને અસહાય નાગરિકોની વહારે આવતી ‘૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન’ અને ‘૧૧૨ જનરક્ષક’ (ERSS) ની ટીમે પરસ્પર સંકલન સાધીને માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. એક જાગૃત નાગરિક દ્વારા હેલ્પલાઇન પર કોલ કરીને માહિતી આપવામાં આવી હતી કે, એક વયોવૃદ્ધ માજી ઘણા સમયથી એકલા આંટાફેરા કરી રહ્યા છે અને પોતાનું ઘર ભૂલી ગયા હોય તેમ જણાય છે.
આ સંવેદનશીલ માહિતી મળતાની સાથે જ ૧૮૧ અભયમ ટીમએ તાત્કાલિક સ્થળપર પહોંચી માજીને આશ્વાસન આપ્યું હતું અને અત્યંત ધીરજપૂર્વક કાઉન્સેલિંગ હાથ ધર્યું હતું. પરંતુ, વધુ ઉંમર હોવાને કારણે માજી પોતાના રહેઠાણ અંગે કોઈ સ્પષ્ટ વિગત આપી શકતા ન હતા. પરિસ્થિતિની ગંભીરતાને સમજીને અભયમ ટીમે તાત્કાલિક ‘૧૧૨ જનરક્ષક’ ટીમ સાથે વહીવટી સંકલન સાધ્યું હતું. બંને ટીમએ સંયુક્ત રીતે ટેકનિકલ માધ્યમો અને સ્થાનિક સ્તરે સઘન શોધખોળ કરીને માજીના પરિવારનો સંપર્ક શોધવામાં સફળતા મેળવી હતી.
પરિવારના કાઉન્સેલિંગ દરમિયાન જાણવા મળ્યું હતું કે, આ પરિવાર મૂળ ઉત્તર પ્રદેશનો વતની છે અને રોજગારી અર્થે મોરબીની કંપનીમાં મજૂરી કામ કરે છે. પરિવારના સભ્યો કામમાં વ્યસ્ત હતા ત્યારે માજી અલ્ઝાઈમર (ભૂલી જવાની બીમારી) અને અશક્તતાના કારણે કોઈને કહ્યા વિના અચાનક ઘરેથી નીકળી ગયા હતા. પરિવારે પણ તેમની ઘણી શોધખોળ કરી હતી પરંતુ કોઈ ભાળ મળી ન હતી. અભયમ અને જનરક્ષક ટીમએ માજીને સહી-સલામત તેમના પરિવારને સોંપીને ભવિષ્યમાં તેમની વિશેષ કાળજી અને સંભાળ રાખવા માટે પરિવારના સભ્યોને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. પોતાની વ્હાલસોયી માતાને હેમખેમ પરત મેળવી ભાવુક બનેલા પરિવારે બંને ટીમનો દિલથી આભાર વ્યક્ત કર્યો હતો.