ગાયત્રી પરિવાર-મોરબીના સહયોગથી વૃદ્ધાશ્રમમાં ગાયત્રી યજ્ઞના અનુષ્ઠાનની થયેલ ઉજવણી


ગાયત્રી પરિવાર મોરબીની શાખાના સહયોગથી મોરબી ખાતે આવેલ કાઠિયાવાડ નિરાશ્રિત બાલાશ્રમ રાજકોટ સંચાલિત વૃદ્ધાશ્રમમાં ગાયત્રી યજ્ઞનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. અને હવેથી દર વર્ષે વૈશાખ સુદ પુનમના દિવસે ગાયત્રી યજ્ઞ કરાવવાની જાહેરાત કરવામાં આવેલ છે.
ગાયત્રી યજ્ઞ મોરબી શાખાના શ્રી નીરુબા જાડેજા તથા શ્રી જયશ્રીબેન પરમારના વ્યાસપીઠ પરથી ગાયત્રી યજ્ઞનું અનુષ્ઠાન વૈદિક અને મંત્રોચ્ચાર સાથે કરવામાં આવતા ઉપસ્થિત તમામ વડીલો હર્ષભેર ઝૂમી ઉઠ્યા હતા. સંસ્થા ના ટ્રસ્ટી શ્રી રાજુભાઈ મહેતાએ ખાસ ઉપસ્થિત રહી ગાયત્રી યજ્ઞનો લાભ લીધો હતો.
આ પ્રસંગે તાજેતરમાં જ વોર્ડ નં-૩ ના કોર્પોરેટર તરીકે ચુંટાયેલા શ્રીમતી અર્પિતાબા પુષ્પરાજસિંહ જાડેજા પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા અને યજ્ઞમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. તેમનું તથા ગાયત્રી પરિવારના શ્રી નીરુબા જાડેજા તથા જયશ્રીબેન પરમારનું સંસ્થા દ્વારા શાલ ઓઢાડી બહુમાન કરવામાં આવેલ. તસ્વીરમાં વૃદ્ધાશ્રમના ભાવિકો હરખથી ગાયત્રી યજ્ઞમાં આરતી તથા આહુતિ હોમી ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે.
સંસ્થાના શ્રી કિરણબા વાઘેલા તથા પારેશભાઇ કીકાણીના માર્ગદર્શન હેઠળ સુંદર વ્યવસ્થા તથા બહુમાન સમારંભ ગોઠવવામાં આવેલ. ઉપસ્થિત તમામનું મોઢું મીઠું કરાવવામાં આવેલ.




