મોરબીમાં બદનામ કરવાના આક્ષેપ સાથે બે પક્ષોમાં મારામારી: સામસામી ફરિયાદ

મોરબીના સો-ઓરડી ત્રિમંદિર પાસે બે પક્ષો વચ્ચે બોલાચાલી બાદ મારામારીની ઘટના બની હતી. મજૂરીકામ કરતા આધેડને દારૂ વેચતા હોવાની ખોટી વાતો કરી બદનામ કરવા બાબતે અને અન્ય પક્ષે રાજકીય અદાવત રાખી ગાળો આપી માર માર્યા હોવાના આક્ષેપો સાથે મોરબી સિટી બી ડિવિઝન પોલીસ મથકે સામસામી ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી છે.

પ્રથમ ફરિયાદમાં મગનભાઇ નાનજીભાઇ સોલંકીએ રમેશભાઇ જેઠાભાઇ ચાવડા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે, આરોપી ફરિયાદીને પોતાની સાથે રહેવા અને હરવાફરવા દબાણ કરતો હતો અને ફરિયાદી મજૂરીકામ કરતા હોવા છતાં તેને સમાજમાં ‘દારૂ વેચે છે’ તેમ કહી બદનામ કરતો હતો. આ બાબતે ફરિયાદીએ વિરોધ કરતા ઉશ્કેરાયેલા રમેશભાઇએ જાહેરમાં ગાળો આપી, ઢીકાપાટુનો માર માર્યો હતો અને નળિયાનો ટુકડો ફરિયાદીના માથામાં ફટકારી ઇજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

સામા પક્ષે રામજીભાઇ ઉર્ફે રમેશભાઇ જેઠાભાઇ ચાવડાએ મગનભાઇ સોલંકી અને જયુ ગૌતમભાઇ સોલંકી વિરુદ્ધ વળતી ફરિયાદ નોંધાવી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે તેઓ સમાજસેવાના કામો અને સરકારી યોજનાઓની માહિતી લોકો સુધી પહોંચાડતા હોય છે, જે આરોપી જયુના પિતા કે જેઓ રાજકીય પક્ષ સાથે જોડાયેલા છે તેમને ગમતું નહોતું. આ રાજકીય ખાર રાખીને બંને આરોપીઓએ ફરિયાદીને જાહેરમાં આંતરી જેમ ફાવે તેમ ગાળો આપી હતી અને ઢીકાપાટુનો મુંઢમાર મારી પગના ભાગે ઇજા પહોંચાડી હતી. ફરિયાદ નોંધાતા મોરબી સીટી બી ડીવીઝન પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Leave A Reply

Your email address will not be published.