

વાંકાનેરની રામચોક શુકલ શેરીમાં ધુળેટીના તહેવાર દરમિયાન બાળકોની સાયકલ લઈ લેવા બાબતે થયેલી બોલાચાલીમાં એક દંપતીએ ઉશ્કેરાઈને શેરીના રહીશો પર પથ્થરમારો અને લાકડી વડે હુમલો કર્યો હતો. આ મામલે વાંકાનેર સિટી પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની વિગત મુજબ, વાંકાનેરની રામચોક શુકલ શેરીમાં રહેતા ખુશ્બુબેન મહેન્દ્રભાઈ વરસડાએ નોંધાવેલી ફરિયાદ અનુસાર, ધુળેટીના દિવસે શેરીના બાળકો કલર-પાણીથી રમી રહ્યા હતા. આ દરમિયાન પાડોશમાં રહેતા જ્યોતિકાબેન મેઘાણીએ બાળકોની સાયકલ પર બેસી મોબાઈલમાં વિડિયો ઉતારવાનું શરૂ કર્યું હતું અને ત્યારબાદ તેઓ સાયકલ લઈને પોતાના ઘરે જતા રહ્યા હતા. જ્યારે બાળકોના વાલીઓ અને શેરીના અન્ય રહીશો સાયકલ બાબતે પૂછવા ગયા,
ત્યારે જ્યોતિકાબેન અને તેમના પતિ બટુકભાઈ મેઘાણીએ ઉશ્કેરાઈને ગાળાગાળી કરી હતી. દંપતીએ ઘરની અંદરથી પથ્થરો અને ઈંટોના ઘા કરતા અનેક મહિલાઓ અને બાળકોને ઈજાઓ પહોંચી હતી. એટલું જ નહીં, જ્યોતિકાબેને લાકડી વડે હુમલો કરી ફરિયાદી મહિલાને પગના ભાગે મુંઢ માર માર્યો હતો. વાંકાનેર સીટી પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.