માળીયા પાસે છોટા હાથીએ રીક્ષાને ઠોકર મારતા એક મહિલાનું મોત, ચાર ઘાયલ

માળીયા મિયાણા-જામનગર હાઈવે પર વહેલી સવારે સર્જાયેલા એક ભયાનક માર્ગ અકસ્માતમાં જામનગરના એક મહિલાનું મોત નીપજ્યું હતું, જ્યારે બે બાળકો સહિત અન્ય ત્રણ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. બેફામ ગતિએ આવતા છોટા હાથીના ચાલકે રીક્ષાને જોરદાર ટક્કર મારતા આ દુર્ઘટના ઘટી હતી, જેના પગલે પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

વિગતવાર વિગતો મુજબ, જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં રહેતા શૈલેષભાઇ ઓધવજીભાઇ દામા પોતાના પરિવાર સાથે રીક્ષામાં જઈ રહ્યા હતા. ત્યારે માળીયા-જામનગર હાઈવે પર ચાચાવદરડા ગામ નજીક વળાંક પાસે સામેથી પૂરઝડપે આવતા છોટા હાથી નંબર GJ-36-V-9709 ના ચાલકે તેમની રીક્ષાને સાઈડના ભાગે જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ફરિયાદીના પત્ની પૂજાબેનને માથા અને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું મોત નીપજ્યું હતું. જ્યારે તેમની પુત્રી રિદ્ધિને જડબાના ભાગે, ભાણેજ મંથનને માથામાં હેમરેજ જેવી ગંભીર ઈજાઓ અને શૈલેષભાઇ તથા નિતીનભાઇને મુંઢ ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

Leave A Reply

Your email address will not be published.