સ્મૃતિ અને આશિષનો સંગમ: વનાળિયા શાળામાં ધોરણ ૮નો વિદાય સમારંભ યોજાયો

 

મોરબી: મોરબી તાલુકાના વનાળિયા ગામે શ્રી વનાળિયા પ્રાથમિક શાળાના આંગણે તાજેતરમાં ધોરણ ૮ના વિદ્યાર્થીઓ માટે હર્ષ અને વિદાયની મિશ્ર લાગણીઓથી ભરેલો એક ભવ્ય શુભેચ્છા સમારંભ યોજાઈ ગયો. આ પ્રસંગે શાળાનું વાતાવરણ ઉત્સાહ અને થોડીક ગમગીની સાથે યાદગાર બની રહ્યું હતું.

જેમાં કાર્યક્રમની શરૂઆતમાં વિદ્યાર્થીઓએ ગીત, વકતવ્ય અને નૃત્ય જેવી વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી પોતાની બહુમુખી પ્રતિભાનો પરિચય આપ્યો હતો. શાળાના આચાર્ય તથા સમગ્ર શિક્ષકગણે વિદ્યાર્થીઓને હૃદયસ્પર્શી આશીર્વચન પાઠવ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને જીવનના આગામી પડકારો ઝીલવા, ઉત્તમ નાગરિક બનવા અને પોતાના માતા-પિતા સહિત શાળાનું નામ રોશન કરવા પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું હતું.

આ તકે વિદાય લેતા વિદ્યાર્થીઓએ પણ મંચ પરથી પોતાના પ્રતિભાવો રજૂ કરતા શાળા સાથેની સુખદ યાદો તાજી કરી હતી. કેટલાક વિદ્યાર્થીઓએ ભાવુક હૃદયે જણાવ્યું કે,“આ શાળા અમારા માટે માત્ર એક સંસ્થા નથી પણ અમારું બીજું ઘર છે. અહીંથી પ્રાપ્ત થયેલા સંસ્કાર અને શિક્ષણ જીવનના દરેક વળાંકે અમને સાચો માર્ગ બતાવશે.

આ વિદાય સમારંભ અંતર્ગત શાળા પરિવાર તરફથી ધોરણ ૮ના પ્રત્યેક વિદ્યાર્થીને ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ સાથે સ્મૃતિચિહ્ન અને ખાસ ભેટ સોગાદો અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે તમામ માટે અલ્પાહાર નું સુંદર આયોજન પણ કરવામાં આવ્યું હતું.આ સમગ્ર સમારંભ આનંદ, લાગણી અને પ્રેરણાથી સભર રહ્યો હતો. વિદાયની પળોમાં વિખૂટા પડવાનું દુઃખ હોવા છતાં, નવી ઊંચાઈઓ સર કરવાની આશા અને ઉત્સાહ દરેક વિદ્યાર્થીના ચહેરા પર સ્પષ્ટપણે જોવા મળી હતી.

 

Leave A Reply

Your email address will not be published.