

ત્રણ દિવસ પહેલા મોરબીના ઉંચી માંડલ નજીક કેનાલમાંથી જે યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો, તેના મોતના કારણ પરથી પડદો ઊંચકાયો છે. નવલખી ફાટક પાસે રહેતો આ યુવાન કેનાલમાં પાણી પીવા જતા લપસી પડવાને કારણે ડૂબી ગયો હોવાનું સામે આવ્યું છે.
ઘટનાની વિગત મુજબ, મોરબીના નવલખી ફાટક પાસે પરશુરામ મંદિરની બાજુમાં રહેતો ૨૦ વર્ષીય યુવાન સંજયભાઇ વિનુભાઇ જસમુલીયા ત્રણેક દિવસ પહેલા ઉંચી માંડલ ખાતે આવેલ કેનાલ પાસે ગયો હતો. તે સમયે કેનાલના કાંઠે પાણી પીવા જતી વખતે અચાનક પગ લપસી જતાં તે ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો અને ડૂબી જવાથી તેનું મોત નીપજ્યું હતું. અગાઉ જ્યારે યુવાનનો મૃતદેહ મળી આવ્યો ત્યારે મોતનું કારણ અકબંધ હતું, પરંતુ હવે સત્ય બહાર આવ્યું છે. હાલ મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ બાદ મોરબી તાલુકા પોલીસે આ અંગે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


