મોરબીમાં ગોડાઉનમાંથી રૂ.3.38 લાખનો શંકાસ્પદ યુરિયા ખાતરનો જથ્થો ઝડપાયો

1272 થેલી યુરિયા ખાતરનો જથ્થો સીઝ કરી કાયદેસરની કાર્યવાહી માટે ખેતી વિભાગને સોંપાયો

 

 

મોરબી: મોરબી શહેરમાં શંકાસ્પદ યુરિયા ખાતરનો મોટો જથ્થો મળી આવતા એસ.ઓ.જી. ટીમે કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ મહાનિરીક્ષક, સરહદી રેન્જ ભુજ તથા મોરબી જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચના મુજબ વિસ્ફોટકો, એમોનિયમ નાઇટ્રેટ સહિત વિસ્ફોટકના ઉત્પાદનમાં ઉપયોગમાં લેવાતા અન્ય રસાયણોની ખરીદી, પુરવઠો, પરિવહન, સંગ્રહ, વેચાણ અને ઉપયોગ અંગે દેખરેખ રાખવા માટે કામગીરી કરવામાં આવી રહી છે.

 

આ દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર આર.સી. ગોહિલની આગેવાની હેઠળની એસ.ઓ.જી. ટીમને બાતમી મળી હતી કે મોરબીના રાજપર રોડ પર મામાદેવ મંદિર સામેની શેરીમાં જય એગ્રોની બાજુમાં આવેલા ગોડાઉનમાં શંકાસ્પદ યુરિયાનો જથ્થો પડેલો છે. બાતમીના આધારે એસ.ઓ.જી. ટીમે નાયબ ખેતી નિયામક (વિસ્તરણ), મોરબીને જાણ કરી સ્થળ પર તપાસ હાથ ધરી હતી.તપાસ દરમિયાન જય એગ્રોના માલિક જયેશભાઈ કાનજીભાઈ બડુાસણાએ ભાડે રાખેલા ગોડાઉનમાંથી શંકાસ્પદ યુરિયા ખાતરનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે આ મુદ્દામાલ સીઝ કરી વધુ કાયદેસરની કાર્યવાહી માટે નાયબ ખેતી નિયામક (વિસ્તરણ), મોરબીને સોંપ્યો હતો.જપ્ત મુદ્દામાલ: આશરે 1272 થેલી શંકાસ્પદ યુરિયા ખાતર, જેની અંદાજિત કિંમત રૂ.3,38,988 હોવાનું જણાવ્યું છે.

Leave A Reply

Your email address will not be published.