મોરબીના યુવા એડવોકેટ દર્શનભાઈ ડી. દવેની ધી મોરબી નાગરિક સહકારી બેંકમાં પેનલ એડવોકેટ તરીકે નિમણૂંક

 

મોરબી શહેરના યુવા, ઉત્સાહી અને કર્મનિષ્ઠ એડવોકેટ તથા રેવન્યુ પ્રેક્ટિશનર દર્શનભાઈ ડી. દવે ની ધી મોરબી નાગરિક સહકારી બેંક લિ. માં પેનલ એડવોકેટ તરીકે નિમણૂંક કરવામાં આવી છે. બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા લેવાયેલા નિર્ણય અનુસાર શ્રી દર્શનભાઈ દવે આગામી સમયમાં બેંકના કાયદાકીય કામો, દસ્તાવેજ ચકાસણી, ટાઇટલ સર્ચ રિપોર્ટ, મોર્ગેજ ડીડ, વસૂલાત પ્રક્રિયા તેમજ રેવન્યુ સંબંધિત બાબતોમાં સેવા આપશે.

દર્શનભાઈ છેલ્લા દાયકાથી મોરબી જિલ્લામાં વકીલાતના વ્યવસાય સાથે સંકળાયેલા છે. LL.B. માં  ફર્સ્ટ કલાસ સાથેની પદવી ધરાવતા દર્શનભાઈ ખાસ કરીને રેવન્યુ મેટર્સ, સિવિલ લિટીગેશન, બેંકિંગ કાયદા અને પ્રોપર્ટી ડોક્યુમેન્ટેશન ક્ષેત્રે નિપુણતા ધરાવે છે. મોરબી મામલતદાર કચેરી, પ્રાંત કચેરી તેમજ કલેક્ટર કચેરીમાં રેવન્યુ પ્રેક્ટિસનો બહોળો અનુભવ ધરાવે છે.  તેઓ સામાજિક કાર્યોમાં પણ સક્રિય છે અને અનેક સંસ્થાઓ સાથે જોડાયેલા છે. તેમની સ્પષ્ટ વક્તવ્ય શૈલી, કાયદાકીય ઝીણવટ અને પ્રમાણિક કાર્યપદ્ધતિના કારણે ટૂંકા ગાળામાં જ મોરબીની કાનૂની આલમમાં આગવી ઓળખ ઊભી કરી છે.

બેંકના ચેરમેન દીપકભાઈ પોપટ એ જણાવ્યું હતું કે, “યુવા અને ટેક્નો-સેવી એડવોકેટને પેનલમાં સામેલ કરવાથી બેંકની કાનૂની પ્રક્રિયા વધુ ઝડપી, પારદર્શક અને મજબૂત બનશે. દર્શનભાઈની રેવન્યુ બાબતોની ઊંડી સમજ બેંકના ધિરાણ અને વસૂલાતના કામોમાં ખૂબ ઉપયોગી નીવડશે.” આ નિમણૂંક બદલ શ્રી દર્શનભાઈ દવેને મોરબી ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશન, વિવિધ સામાજિક સંસ્થાઓ તેમજ શુભેચ્છકોએ અભિનંદન પાઠવ્યા છે.

Leave A Reply

Your email address will not be published.