

મોરબીના નવલખી રોડ પર આવેલા શ્રધ્ધાપાર્ક વિસ્તારના રહેવાસી દશરથસિંહ કનકસિંહ જાડેજા (ઉ.વ.૩૪) નામના યુવાને આજે ઝેરી દવા પીને આપઘાત કર્યો છે. ફાઈનાન્સના વ્યવસાય સાથે સંકળાયેલો યુવાનની અલ્ટો કાર નં જીજે ૨૩ એચ ૭૦૦૮ તેના જ વિસ્તારના મંદિર પાસેથી મળી આવી હતી જેનો કાચ ફોડીને તપાસ કરતા યુવાન દવા પીધેલી હાલતમાં મળી આવ્યો હતો જેને સિવિલ હોસ્પીટલે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનું મોત નીપજ્યું હતું. ગરાસીયા યુવાનના મોત મામલે પરિવારજનોએ એલસીબીના પોલીસ કમર્ચારીઓ પર આક્ષેપ કર્યા હતા. અગાઉ યુવાન દારૂની રેડમાં ઝડપાયો હતો જે મામલે એલસીબી દ્વારા વારંવાર પૈસાની માંગણી કરવામાં આવતી હોય અને યુવાનને પરેશાન કરવામાં આવતો હોવાના ગંભીર આક્ષેપો પરિવાર દ્વારા કરવામાં આવ્યા હતા જેનાથી કંટાળી જઈને યુવાને આ પગલું ભર્યાનું પરિવારે જણાવ્યું હતું. યુવાનના મૃતદેહને પી.એમ. માટે ખસેડીને બી ડીવીઝન પોલીસે વધુ તપાસ ચલાવી છે.