



વાંકાનેર પંથકમાં વર્ષ ૨૦૧૬માં ૭ વર્ષની માસૂમ બાળકીનું અપહરણ કરી તેના પર સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય અને ઉગ્ર જાતીય હુમલો કરનાર શખ્સને મોરબીની સ્પેશિયલ પોક્સો કોર્ટે ગુનાની ગંભીરતાને ધ્યાને રાખી ૨૦ વર્ષની સખત કેદની સજા ફટકારી છે. આ સાથે કોર્ટે ભોગ બનનાર બાળકીને કુલ રૂપિયા ૪,૧૬,૦૦૦ નું વળતર ચૂકવવાનો પણ મહત્વનો આદેશ કર્યો છે.
વર્ષ ૨૦૧૬ માં તા. ૨૭-૧૧ ના રોજ સાંજના ૪ થી ૬ વાગ્યા દરમિયાન વાંકાનેર પંથકમાં આવેલી એક સિરામિક ફેક્ટરી નજીક આરોપીએ ૭ વર્ષની સગીર બાળકીને ફોસલાવીને બાવળની ઝાડીમાં અપહરણ કરી ગયો હતો. ત્યાં નરાધમે બાળકી સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચરી, જાતીય હુમલો કરી તેને ગંભીર શારીરિક ઇજાઓ પહોંચાડી હતી. આ મામલે ભોગ બનનારના પરિવારે ફરિયાદ નોંધાવતા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આરોપીને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ કેસ મોરબીની સ્પેશિયલ પોક્સોમાં ચાલી હતા મદદનીશ સરકારી વકીલ નિરજ ડી. કારીઆની ધારદાર દલીલો, 14 મૌખિક સાક્ષીઓ અને 30 દસ્તાવેજી પુરાવાઓને ગ્રાહ્ય રાખીને કોર્ટે આરોપી શેરસીંગ ભોપાસિંહ સીસોદીયા ને દોષિત ઠેરવી ૨૦ વર્ષની સખત કેદની સજા ફટકારી છે. સાથે રૂ.16 હજારનો દંડ પણ ફટકાર્યો છે. તો કોર્ટે ‘ગુજરાતની ભોગ બનનારને વળતર માટેની યોજના ૨૦૧૯ ‘ ના નિયમો અનુસાર ભોગ બનનાર માસૂમ બાળકીને આર્થિક અને સામાજિક ન્યાય આપતા રૂ.૪,૦૦,૦૦૦ વળતર અને આરોપી જે રૂ. ૧૬ ૦૦૦ દંડની રકમ ભરે તે મળીને કુલ રૂ. ૪,૧૬,૦૦૦ વળતર પેટે ચૂકવવાનો આદેશ કર્યો છે. જો આરોપી દંડની રકમ ભરવામાં નિષ્ફળ જશે તો પણ ભોગ બનનાર બાળકી રૂ. ૪,૦૦,૦૦૦ નું વળતર મેળવવા હકદાર રહેશે જે રકમ એકાઉન્ટ પેઇ ચેકથી ચૂકવવામાં આવશે.