

લાયન્સ ક્લબ ઓફ મોરબી–નઝરબાગ દ્વારા જાહેર જનતાના હિતાર્થે હાથ ધરવામાં આવેલા વિવિધ સેવાકીય પ્રકલ્પો અંતર્ગત પાડા પુલ ઉપર મુકવામાં આવેલી આશરે 100 જેટલી બેન્ચનું રંગરોગાન તથા માવજત કરી તેને ફરીથી સુશોભિત અને ઉપયોગી બનાવવામાં આવી છે.
લાયન્સ ક્લબ ઓફ મોરબી–નઝરબાગ દ્વારા તહેવારોના અવસરને અનુલક્ષીને પાડા પુલ ઉપર જાહેર જનતાની સુવિધા માટે આ બેન્ચો મુકવામાં આવી હતી. આ પ્રકલ્પની વિશેષતા એ છે કે ક્લબ દ્વારા માત્ર બેન્ચો મુકીને પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં આવતો નથી, પરંતુ આ કાયમી સેવાકીય પ્રકલ્પ અંતર્ગત દર વર્ષે બેન્ચોની યોગ્ય માવજત, સમારકામ અને રંગરોગાન પણ કરવામાં આવે છે.
જાહેર સ્થળોએ લોકોની સુવિધા અને સ્વચ્છતા જળવાઈ રહે તે માટે ક્લબ દ્વારા કરવામાં આવતી આ કામગીરી સમાજ પ્રત્યેની સતત સેવા અને જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ છે. બેન્ચોના નવીનીકરણ બાદ પાડા પુલની સુંદરતામાં પણ વધારો થયો છે અને અહીં આવતા નાગરિકોને સ્વચ્છ તથા સુવિધાજનક બેસવાની વ્યવસ્થા મળી છે.
આ સમગ્ર પ્રકલ્પની જવાબદારી સંભાળનાર પ્રોજેક્ટ ચેરમેન લાયન ડો. રવિન્દ્ર ભટ્ટને આ સેવાકીય કામગીરી બદલ લાયન્સ ક્લબ ઓફ મોરબી–નઝરબાગના પ્રેસિડેન્ટ શ્રી લાયન સચીનભાઈ કોટેચા દ્વારા હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. લાયન્સ ક્લબ ઓફ મોરબી–નઝરબાગ દ્વારા સમાજના વિવિધ વર્ગોના હિતમાં સતત સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે અને ભવિષ્યમાં પણ આવા જનહિતલક્ષી પ્રકલ્પો દ્વારા સમાજસેવાનું કાર્ય વધુ વેગવંતુ બનાવવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો છે.