મોરબી જિલ્લામાં ‘લેપ્રસી કેસ ડિટેક્શન અભિયાન’નો સો ઓરડી અર્બન હેલ્થ સેન્ટર ખાતેથી શુભારંભ કરાયો

મોરબી જિલ્લાના નાગરિકોને રક્તપિત્ત (લેપ્રસી) જેવા ગંભીર રોગથી સુરક્ષિત કરવા અને દર્દીઓને સમયસર સારવાર તેમજ સહાય પૂરી પાડવાના ઉમદા આશય સાથે આરોગ્ય વિભાગ દ્વારા વિશેષ ઝુંબેશ શરૂ કરાઈ છે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને જિલ્લા ક્ષય/લેપ્રસી અધિકારીના માર્ગદર્શન હેઠળ મોરબીમાં ૧૮ જૂન સુધી ચાલનારા ‘લેપ્રસી કેસ ડિટેક્શન અભિયાન’નો સો ઓરડી અર્બન હેલ્થ સેન્ટર ખાતેથી પ્રારંભ કરવામાં આવ્યો છે.

રાજ્ય સરકાર દ્વારા નિયત કરાયેલા ૨૨ ‘લો એન્ડેમિક’ (ઓછા ફેલાવાવાળા) જિલ્લાઓમાં મોરબી જિલ્લાનો સમાવેશ થાય છે. આ અભિયાન હેઠળ મોરબીના કુલ ૫ તાલુકાઓના ૧૦૭ ગ્રામ્ય અને પોકેટ વિસ્તારોને આવરી લેવામાં આવ્યા છે. આ ઝુંબેશ દરમિયાન જાહેર રજાઓ અને મમતા દિવસ સિવાયના દિવસોમાં આશા બહેનો અને પુરુષ સ્વયંસેવકોની બનેલી કુલ ૧૫૬ વિશેષ ટીમ પ્રત્યેક ઘરની રૂબરૂ મુલાકાત લેશે. આ ટીમ દ્વારા જિલ્લાના અંદાજિત ૨,૭૪,૯૯૮ નાગરિકોની રક્તપિત્ત અંગે શારીરિક તપાસ કરવામાં આવશે અને સ્થાનિક લોકોને આ રોગના લક્ષણો વિશે માહિતગાર કરી વ્યાપક જનજાગૃતિ ફેલાવવામાં આવશે.

સર્વેક્ષણની કામગીરી દરમિયાન જો કોઈ વ્યક્તિમાં રક્તપિત્તના શંકાસ્પદ લક્ષણો જોવા મળશે, તો આરોગ્ય ટીમ દ્વારા તેમને ત્વરિત મફત નિદાન અને સચોટ સારવાર અર્થે નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC), સામૂહિક આરોગ્ય કેન્દ્ર (CHC), જનરલ હોસ્પિટલ કે સરકારી મેડિકલ કોલેજ ખાતે રિફર કરવામાં આવશે. રક્તપિત્તના કારણે દર્દીની શારીરિક, માનસિક કે આર્થિક અવદશા ન થાય તે માટે આ ગંભીર બીમારીને શરૂઆતના તબક્કામાં જ ડામી દેવા વહીવટી તંત્ર દ્વારા જિલ્લાના તમામ નાગરિકોને આ સર્વેક્ષણ કામગીરીમાં આરોગ્ય ટીમોને પૂરતો સહયોગ આપવા નમ્ર અપીલ કરવામાં આવી છે.

આ તકે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. પી.કે. શ્રીવાસ્તવ, કોર્પોરેટર મેઘરાજસિંહ ઝાલા, પૂર્વ કોર્પોરેટર સુરેશભાઇ સિરોહિયા, મીડિયા પ્રતિનિધિ  સાહુનભાઈ પ્રજાપતિ, અર્બન હેલ્થ સેન્ટરના ડૉ. શ્યામ સોમૈયા, જિલ્લા ક્ષય કેન્દ્રના ડી.પી.સી. પિયુષભાઈ જોશી તેમજ લેપ્રસી પેરામેડિકલ વર્કર  ધર્મેન્દ્રભાઈ વાઢેર સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

 

Leave A Reply

Your email address will not be published.