હળવદમાં ૧૦ ફેબ્રુઆરીએ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન; ખાનગી ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઈચ્છતા યુવાનો માટે રોજગારીની તક

 

નિયામક, રોજગાર અને તાલીમના નિયંત્રણ હેઠળની રોજગાર વિનિમય કચેરી-મોરબી દ્વારા જિલ્લાના યુવાનોને ખાનગી ક્ષેત્રમાં રોજગારીની ઉત્તમ તકો પૂરી પાડવાના હેતુથી આગામી તા. ૧૦/૦૨/૨૦૨૬ ના રોજ હળવદના સરા રોડ પર આવેલી પ્ર. વસંતરાય ઉપાધ્યાય આઈ.ટી.આઈ. ખાતે સવારે ૧૧:૦૦ કલાકે ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોરબી જિલ્લાના ખાનગી ક્ષેત્રના વિવિધ પ્રતિષ્ઠિત નોકરીદાતાઓ ઉપસ્થિત રહીને લાયકાત ધરાવતા ઉમેદવારોની વિનામૂલ્યે પસંદગી કરશે.

આ ભરતી મેળામાં સહભાગી થવા માટે ઉમેદવારોની વય મર્યાદા ૧૮ થી ૩૫ વર્ષની વચ્ચે હોવી અનિવાર્ય છે. શૈક્ષણિક લાયકાતની વિગતો જોઈએ તો, આ મેળામાં ધોરણ-૯ પાસ, નોન-મેટ્રિક, એસ.એસ.સી (SSC), એચ.એસ.સી (HSC), આઈ.ટી.આઈ. (ITI) તેમજ સ્નાતક સુધીની શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો ભાગ લઈ શકશે. ઈચ્છુક ઉમેદવારોએ પોતાના તમામ શૈક્ષણિક લાયકાતના અસલ પ્રમાણપત્રો, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર(LC), પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ અને બાયોડેટાની નકલો સાથે સ્વખર્ચે નિયત સમયે અને સ્થળે હાજર રહેવાનું રહેશે.

 

જે ઉમેદવારોએ રોજગાર કચેરી ખાતે અગાઉ નામ નોંધણી કરાવી નથી, તેઓ પણ જરૂરી તમામ દસ્તાવેજો સાથે આ પસંદગી પ્રક્રિયામાં ભાગ લઈ શકશે. હળવદ અને મોરબી જિલ્લાના લાયકાત ધરાવતા મહત્તમ યુવાનો આ રોજગારલક્ષી તકનો લાભ લેવા મોરબી રોજગાર અધિકારી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

Leave A Reply

Your email address will not be published.