

ભારત સરકાર દ્વારા તથા ગુજરાત સરકારના માર્ગદર્શન હેઠળ દેશભરમાં સંસ્કૃત સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે દ્વારા સંસ્કૃત સપ્તાહની ઉજવણી નિમિત્તે સર્વે નાગરિકોને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. આપણી પ્રાચીન અને સમૃદ્ધ ભાષા સંસ્કૃતના સંરક્ષણ તથા સંવર્ધન માટે સૌ કોઈને દેવભાષા સંસ્કૃતનો રોજબરોજની બોલચાલમાં વધુમાં વધુ ઉપયોગ કરવા અનુરોધ કર્યો હતો. સંસ્કૃત ભાષાના જ્ઞાન અને ઉપયોગથી આપણી સમૃદ્ધ સાંસ્કૃતિક અને ભાષાકીય વિરાસતને જાળવી રાખવામાં મહત્વપૂર્ણ યોગદાન આપી શકાય છે.
મોરબી જિલ્લામાં સંસ્કૃત સપ્તાહ દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવનાર છે. સંસ્કૃત ભાષાનો ઉપયોગ વધે તથા વિદ્યાર્થીઓમાં સંસ્કૃત ભાષા પ્રત્યે રસ અને જાગૃતિ કેળવાય તે હેતુથી રેલીનું આયોજન કરવામાં આવશે. ઉપરાંત વિવિધ શાળા-કોલેજોના વિદ્યાર્થીઓ માટે નિબંધ, ચિત્ર તથા વક્તૃત્વ સ્પર્ધા સહિતના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે. મોરબી જિલ્લાના નાગરિકો તથા વિદ્યાર્થીઓને સંસ્કૃત સપ્તાહ દરમિયાન યોજાનાર વિવિધ કાર્યક્રમોમાં ઉત્સાહપૂર્વક જોડાઈ સંસ્કૃત ભાષાના સંરક્ષણ અને સંવર્ધનમાં સહભાગી બનવા અનુરોધ કર્યો હતો.