મોરબી અને વાંકાનેરમાં અપમૃત્યુના બે બનાવમાં બે મોત

મોરબી અને વાંકાનેરમાં અપમૃત્યુના બે બનાવમાં બેનાં મોત નીપજ્યા હતા. રફાળેશ્વર ગામમાં એક ૧૮ વર્ષની શ્રમિક યુવતીએ અગમ્ય કારણોસર એસિડ ગટગટાવી લેતા સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું, જ્યારે વાંકાનેરના સમથેરવા ગામની સીમમાં એક અજાણ્યા વૃદ્ધનું હાર્ટ એટેક આવવાને કારણે મોત થયું હતું.

પ્રાપ્ત વિગત મુજબ, હળવદના દેવળીયા ગામની મૂળ વતની અને હાલ મોરબીના રફાળેશ્વર ગામે રહેતી ૧૮ વર્ષીય વર્ષાબેન દેવજીભાઇ ચાવડા નામની યુવતીએ પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર એસિડ પી લીધું હતું. યુવતીએ ઝેરી પ્રવાહી ગટગટાવી લેતા પરિવારજનો દ્વારા તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં ટૂંકી સારવાર બાદ યુવતીનું મોત નીપજ્યું હતું. પોલીસ યુવતીએ કયા કારણોસર આ આત્યંતિક પગલું ભર્યું તે દિશામાં તપાસ હાથ ધરી છે.

બીજી ઘટનામાં, વાંકાનેર તાલુકા પોલીસ મથકની હદમાં આવેલા સમથેરવા ગામની સીમમાંથી એક વૃદ્ધનો મૃતદેહ મળી આવ્યો હતો. આશરે ૬૦ થી ૬૫ વર્ષની ઉંમરના એક અજાણ્યા પુરુષ, જેઓ રખડતું-ભટકતું જીવન ગુજારતા હતા, તે સમથેરવા ગામની સીમમાં જીવાબેન ટીડાભાઇ સાવડીયાની વાડીમાં હતા. આ દરમિયાન અચાનક જ તેમના શરીરે અતિશય પરસેવો વળવા લાગ્યો હતો અને તેઓ બેભાન થઈને ઢળી પડ્યા હતા. પ્રાથમિક દ્રષ્ટિએ વૃદ્ધને હાર્ટ એટેકનો જોરદાર હુમલો આવી જતાં તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. પોલીસે મરણ જનાર અજાણ્યા વૃદ્ધના વાલીવારસોની શોધખોળ આદરી છે.

Leave A Reply

Your email address will not be published.