શ્રી જબલપુર પ્રાથમિક શાળા પીએમશ્રી ગુજરાત માં શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી બદલ તાલુકા કક્ષાનું શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક


મોરબી: શિક્ષક દિન નિમિત્તે શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ અને નોંધપાત્ર કામગીરી બદલ શ્રી જબલપુર પ્રાથમિક શાળા, પીએમશ્રી ગુજરાતના શિક્ષક શ્રી જશવંતભાઈ ચાવડા અને ગાદોયા જીજ્ઞાસાબેન કેતનકુમારને તાલુકા કક્ષાનું શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એનાયત કરવામાં આવ્યું.
આ સન્માન મોરબી જિલ્લાના કલેક્ટરશ્રી સ્વપ્નિલ ખરે સાહેબ તથા રાજ્યમંત્રીશ્રી કાંતિલાલ અમૃતિયા સાહેબ (શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ, ગુજરાત સરકાર)ના વરદ હસ્તે અર્પણ કરવામાં આવ્યું હતું.
શ્રી જશવંતભાઈ ચાવડા દ્વારા શાળામાં વિદ્યાર્થી કેન્દ્રિત અને પ્રવૃત્તિલક્ષી શિક્ષણ, નવીન શૈક્ષણિક પ્રવૃત્તિઓ, કૌશલ્ય વિકાસ, સર્જનાત્મક પ્રવૃત્તિઓ, સામાજિક વિજ્ઞાનના પ્રયોગાત્મક શિક્ષણ તથા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે સતત પ્રયત્નો કરવામાં આવે છે. શાળામાં વિવિધ શૈક્ષણિક અને સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ દ્વારા બાળકોમાં સર્જનાત્મકતા, નેતૃત્વ, આત્મવિશ્વાસ, સહકારની ભાવના અને જીવન કૌશલ્યો વિકસે તે માટે વિશેષ કાર્ય કરવામાં આવે છે.
વિદ્યાર્થીઓમાં શિક્ષણ પ્રત્યે રુચિ વધે અને શાળા આનંદદાયક શિક્ષણનું કેન્દ્ર બને તેવા સતત પ્રયાસો તથા શૈક્ષણિક ક્ષેત્રે આપેલા નોંધપાત્ર યોગદાનની કદરરૂપે આ સન્માન પ્રાપ્ત થયું છે.
ભાષા શિક્ષક જીજ્ઞાસાબેન ગાદોયા બાળકોના સર્વાંગી વિકાસ માટે ઘણાં પ્રયત્નો કરે છે. સ્પર્ધાત્મક પરીક્ષા તથા કલા મહાકુંભ જેવા ગુજરાત રાજ્યની વિવિધ યોજનાઓમાં બાળકોને બહોળા પ્રમાણમાં ભાગ લેવડાવે છે, બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓને ઉજાગર કરી આગળ વધારે છે.શાળામાંથી થતા પ્રવાસ – પર્યટનમાં સંપૂર્ણ જવાબદારી નિભાવે છે.અંગ્રેજી,હિન્દી જેવા વિષયોમાં વિદ્યાર્થીઓના રસ વધે એ માટે પ્રવૃતિ તથા પોતાની રસ શૈલીથી વિષયો પ્રત્યે રુચિ વધારી છે.
આ ગૌરવપૂર્ણ સિદ્ધિ બદલ શાળાના આચાર્યશ્રી, એસ.એમ.સી,શિક્ષકમિત્રો,ગ્રામજનો,વાલીશ્રીઓ,વિદ્યાર્થીઓ તથા સમગ્ર શાળા પરિવારમાં આનંદ અને ગૌરવની લાગણી પ્રસરી છે.સર્વે તરફથી શિક્ષક મિત્રોને શુભકામનાઓ આપવામાં આવી રહી છે.

