



મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ મજબુત બનાવવા અને અસામાજિક તત્વો પર લગામ કસવા માટે પોલીસ દ્વારા સરાહનીય કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. કાયદો અને વ્યવસ્થાનું ઉલ્લંઘન કરતા તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા મળેલી સૂચના અન્વયે પોલીસે ગુનેગારોને કાયદાનું પાલન કરવા કડક સૂચન કર્યું છે.
કચ્છ બોર્ડર રેન્જના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા તથા મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક મુકેશકુમાર પટેલની સૂચના અને મોરબી વિભાગના નાયબ પોલીસ અધિક્ષક જે.એમ.આલના માર્ગદર્શન હેઠળ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર જે.ડી.સરવૈયા દ્વારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા અને અવારનવાર શરીર સંબંધી, મિલકત સંબંધી તેમજ પ્રોહિબિશન (દારૂબંધી) ની પ્રવૃત્તિઓમાં સંકળાયેલા અસામાજિક તત્વોને પોલીસ સ્ટેશને બોલાવવામાં આવ્યા હતા.
પોલીસ સ્ટેશને હાજર રાખવામાં આવેલા તમામ તત્વો વિરુદ્ધ ભૂતકાળમાં નોંધાયેલા ગુન્હાઓની માહિતીનો ઝીણવટભર્યો અભ્યાસ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ પોલીસ ઇન્સ્પેક્ટર જે.ડી.સરવૈયાએ આ તત્વોને “કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો” તેવું સ્પષ્ટ સૂત્ર આપીને ગુનાખોરીનો માર્ગ છોડી આમ નાગરિકોની જેમ સભાનતા પૂર્વક જીવન જીવવા માટે પ્રેરણા અને કડક તાકીદ કરી હતી.