



હળવદ તાલુકાના ચરાડવા અને આંદરણા ગામ વચ્ચે ગુરુવારે મોડી રાત્રીના સર્જાયેલા ગમખ્વાર માર્ગ અકસ્માતમાં રણછોડગઢ ગામના પાંચ લોકોના કરુણ મોત નિપજતાં સમગ્ર પંથકમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. જ્યારે ગ્રામ પંચાયતના ઉપસરપંચ સહીત બેને ગંભીર ઈજા પહોચતા તેને સારવાર માટે મોરબી બાદ રાજકોટ ખસેડવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ રણછોડગઢ ગામના દિલીપ ભગવાનભાઈ ડઢૈયાના પુત્ર પરેશ દિલીપભાઈ ડઢૈયા (ઉ.વ. 24) હળવદથી પરત ફરી રહ્યા હતા ત્યારે માનસર નજીક તેમની બાઇક સ્લિપ થતાં અકસ્માત સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં તેમના પિતા દિલીપભાઈ સહિત ગામના અન્ય પાંચ આગેવાનો કિયા કાર લઈને સ્થળ પર પહોંચ્યા હતા. ઘાયલ પરેશને કારમાં બેસાડી તમામ સાત લોકો પરેશભાઈને સારવાર માટે મોરબી લઈ જઈ રહ્યા હતા.
દરમિયાન ચરાડવા ગામ નજીક પહોંચતા ડમ્પર અચાનક વણાક લીધા બાદ કિયા કાર ડમ્પર પાછળ ધુસી જતા અકસ્માત સરજ્યો હતો તો ગમખ્વાર અકસ્માતમાં ત્રણ લોકોના ધટના સ્થળે મૃત્યુ નીપજ્યા હતા જ્યારેં અન્ય ઈજાગ્રસ્તોને મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા.જેમાં સારવાર દરમિયાન તાલુકા પંચાયત સભ્ય સહિતના બે લોકોએ સારવાર દરમિયાન દમ તોડ્યો હતો.ધટનાની જાણ થતા જ હળવદ પોલીસની ટીમ અને આસપાસના લોકો એકઠા થયા હતા.
આ દુર્ઘટનામાં સુરેશ વિસાભાઈ ડઢૈયા, વિરમ ભીમાભાઈ ડઢૈયા, પરેશ દિલીપભાઈ ડઢૈયા, રણછોડગઢ બેઠક હળવદ તાલુકા પંચાયતના સભ્ય પ્રેમજીભાઈ શંકરભાઈ ડઢૈયા અને ભરતભાઈ પ્રેમજીભાઈ ડઢૈયા ના મોત થયા હોવાનું જાણવા મળ્યું છે.
જ્યારે પ્રકાશ અમીરભાઈ ડઢૈયા (ઉપસરપંચ, રણછોડગઢ ગ્રામ પંચાયત) અને દિલીપ ભગવાનભાઈ ડઢૈયા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તેમને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા છે.એક જ ગામના પાંચ લોકોના મૃત્યુ થતા રણછોડગઢ ગામમાં શોકનો માહોલ વ્યાપી ગયો છે.