

રાજ્યના અનુસૂચિત જાતિના નબળી આર્થિક સ્થિતિ ધરાવતા અને ખાસ કરીને ગરીબી રેખા નીચે જીવતા ઘરવિહોણા લોકોને આવાસો પૂરા પાડવાના ઉમદા આશય સાથે ગુજરાત સરકારની ‘ડો. આંબેડકર આવાસ યોજના’ અમલી છે.


આ કલ્યાણકારી યોજના હેઠળ મોરબી જિલ્લામાં વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન કુલ ૧૯૫ લાભાર્થીઓને રૂ. ૮૯,૧૦,૦૦૦ ના આર્થિક સહયોગથી પાકાં આવાસ સાથે સુખનું સરનામું મળ્યું છે.
સરકારની આ કલ્યાણકારી યોજના હેઠળ મોરબી જિલ્લામાં વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન જિલ્લામાં પ્રથમ હપ્તાના ૬૮ લાભાર્થીઓને રૂ. ૨૦.૪૦ લાખ, બીજા હપ્તાના ૬૮ લાભાર્થીઓને રૂ. ૪૯.૮૦ લાખ, ત્રીજા હપ્તાના ૫૮ લાભાર્થીઓને રૂ. ૧૮.૮૦ લાખ અને ચોથા હપ્તાના ૧ લાભાર્થીને રૂ. ૧૦,૦૦૦/- ની સહાય ચૂકવવામાં આવી છે.
તાલુકાવાર છણાવટ કરીએ તો, મોરબી તાલુકામાં સૌથી વધુ ૮૫ લાભાર્થીઓને રૂ. ૩૮,૮૦,૦૦૦/-, વાંકાનેર તાલુકામાં ૪૨ લાભાર્થીઓને રૂ. ૨૦,૨૦,૦૦૦/-, હળવદ તાલુકામાં ૨૪ લાભાર્થીઓને રૂ. ૧૦,૭૦,૦૦૦/-, ટંકારા તાલુકામાં ૨૮ લાભાર્થીઓને રૂ. ૧૧,૪૦,૦૦૦/- તેમજ માળિયા તાલુકામાં ૧૬ લાભાર્થીઓને રૂ. ૮,૦૦,૦૦૦/- ની સહાય ચૂકવીને ઘરવિહોણા પરિવારોના પાકા ઘરનું સપનું સાકાર કરવામાં આવ્યું છે.
આ યોજના અન્વયે જે વ્યક્તિઓ ખુલ્લો પ્લોટ ધરાવતા હોય, અથવા તદ્દન કાચું ગાર-માટીનું, ઘાસપૂળાનું કે કુબા ટાઈપનું રહેઠાણ અયોગ્ય મકાન ધરાવતા હોય તેમજ મકાન માલિકની સંમતિથી પ્રથમ માળ ઉપર મકાન બાંધવા માંગતા હોય, તેમને નવું મકાન બનાવવા માટે કુલ રૂ. ૧,૭૦,૦૦૦/- ની આર્થિક સહાય ચાર હપ્તામાં ચૂકવવામાં આવે છે. જેમાં વહીવટી મંજૂરીના હુકમ સાથે પ્રથમ હપ્તો રૂ. ૩૦,૦૦૦/-, પ્લિન્થ લેવલ પૂર્ણ થયેથી બીજો હપ્તો રૂ. ૮૦,૦૦૦/-, રૂફ કાસ્ટ (ધાબા) લેવલે ત્રીજો હપ્તો રૂ. ૧૫૦,૦૦૦/- અને શૌચાલય સહિતનું બાંધકામ પૂર્ણ થયેથી ચોથો હપ્તો રૂ. ૧૦,૦૦૦/- સીધો બેંક ખાતામાં જમા કરી નગરજનોને આર્થિક પીઠબળ પૂરું પાડવામાં આવે છે. આ યોજનાના નિયમો અનુસાર લાભાર્થી કે પરિવારના સભ્યોએ અગાઉ કોઈ આવાસ યોજનાનો લાભ લીધેલો ન હોવો જોઈએ અને ગ્રામ્ય વિસ્તારમાં વાર્ષિક આવક મર્યાદા રૂ. ૬,૦૦,૦૦૦ થી વધુ ન હોવી જોઈએ.
ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ દરમિયાન પણ આ યોજનાનો વ્યાપ વધારવા માટે પાત્રતા ધરાવતા અરજદારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. યોજનાનો લાભ મેળવવા ઇચ્છતા નાગરિકોએ સરકારશ્રીના અધિકૃત પોર્ટલ https://esamajkalyan.gujarat.
‘ડો. આંબેડકર આવાસ યોજના’ માત્ર ઈંટો અને સિમેન્ટનું મકાન જ નહીં, પરંતુ સમાજના વંચિત વર્ગોને સન્માનભેર જીવવાનું ‘અધિકારરૂપી આવાસ’ પૂરું પાડી રહી છે. મોરબી જિલ્લામાં ૧૯૫ પરિવારોના ચહેરા પરનું સ્મિત આ યોજનાની સફળતાની સાક્ષી પૂરે છે. કાચા કૂબા અને જર્જરિત મકાનોમાંથી પાકા ઘર તરફ પ્રયાણ કરાવીને સરકારશ્રીની આ કલ્યાણકારી યોજના સાચા અર્થમાં ‘સૌનો સાથ, સૌનો વિકાસ’ના મંત્રને સાર્થક કરી રહી છે.