


વાંકાનેરના ઢુવા ગામની સીમમાં આવેલી એક સિરામિક ફેક્ટરીની લેબર કોલોનીમાં રહેતા એક શ્રમિક યુવકે આર્થિક તંગી અને માનસિક તણાવના કારણે રેલ્વે ટ્રેક પર ટ્રેન નીચે પડતું મૂકીને આપઘાત કરી લીધો હતો. વાંકાનેર તાલુકા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ઘટનાની પ્રાપ્ત વિગત મુજબ મૂળ ઉત્તર પ્રદેશના વતની અને હાલ ઢુવા ગામની સીમમાં આવેલ અમરનાથ સીરામીકની લેબર કોલોનીમાં રહીને મજૂરી કામ કરતા ૩૨ વર્ષીય યુવકની ઘરની આર્થિક સ્થિતિ છેલ્લા કેટલાક સમયથી ખૂબ જ નબળી હતી. આ નબળી આર્થિક પરિસ્થિતિના કારણે તે વતનમાં રહેતા પોતાના પરિવારને નિયમિત રીતે રૂપિયા મોકલી શકતો ન હતો, જેના લીધે તે સતત માનસિક તણાવમાં રહેતો હતો. આ માનસિક તણાવ અસહ્ય બની જતાં તેણે સિરામિક ફેક્ટરી પાછળથી પસાર થતા રેલ્વે ટ્રેક પર જઈને ટ્રેન નીચે પડતું મૂકી દીધું હતું. ટ્રેનની અડફેટે આવવાથી યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.