

મોરબી જિલ્લામાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેવાના બે જુદા જુદા બનાવો પ્રકાશમાં આવ્યા છે. રફાળેશ્વરમાં ૧૭ વર્ષીય કિશોરીએ જ્યારે હળવદના ભવાની નગરમાં ૨૫ વર્ષીય યુવકે પોતાના રહેણાંક મકાનમાં ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું છે.
મોરબીના મચ્છુનગર રફાળેશ્વર ખાતે રહેતી ચાંદની રમેશભાઈ મંગોલિયા (ઉ.વ. ૧૭) નામની કિશોરીએ પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ લીધો હતો. કિશોરીને સારવાર અને પીએમ અર્થે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાતા તબીબે તેને મૃત જાહેર કરી હતી.
બીજા બનાવમાં હળવદના ભવાની નગર ઢોરા વિસ્તારમાં રહેતા ગુલશનકુમાર સુભાષચંદ્ર પંજાબી (ઉ.વ. ૨૫) નામના યુવકે પણ પોતાના રહેણાંક મકાનમાં કોઈ કારણોસર ગળે ફાંસો ખાઈ લીધો હતો. પોલીસે બંને બનાવો અંગે કાયદેસરની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.