નારાજગી ચરમસીમાએ : દલવાડી સમાજના ૮ કોર્પોરેટરોએ કમલમમાં હૈયાવરાળ ઠાલવી, હવે નારાજ કોર્પોરેટરો શું કરશે ?
જીલ્લા ભાજપ પ્રમુખ સમક્ષ સમાજની નારાજગીની રજૂઆત કરી


મોરબી મહાનગરપાલિકામાં દલવાડી સમાજની બાદબાકી થતા નારાજગી જોવા મળી રહી છે સમાજનો આક્રોશ સોશ્યલ મીડિયામાં વ્યક્ત થઇ રહ્યો છે જે લાગણીને ધ્યાને લઈને ૮ કોર્પોરેટરો ગઈકાલે ભાજપની મીટીંગમાં ગેરહાજર રહ્યા હતા અને આજે ૮ કોર્પોરેટરોએ જીલ્લા પ્રમુખને રૂબરૂ મળી સમાજની લાગણી અંગે રજુઆત કરી હતી
મોરબી મહાનગરપાલિકામાં દલવાડી સમાજના ચૂંટાયેલા ૮ કોર્પોરેટરો આજે કમલમ ખાતે જીલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયાને રૂબરૂ મળ્યા હતા સુત્રો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ દલવાડી સમાજના કોર્પોરેટરોએ પ્રમુખ સમક્ષ સમાજની નારાજગી અંગે રજૂઆત કરી હતી અને સમાજમાં વ્યાપી રહેલા રોષ અંગે પ્રમુખને વાકેફ કર્યા હતા જોકે સુત્રો પાસેથી મળતી વિગતો મુજબ પ્રમુખે લાગણીને ધ્યાને લીધી ના હતી અને દર વખતે દરેકને બધું મળે તે જરૂરી નથી તેવો ઉડાઉ જવાબ આપ્યો હતો જેથી કોર્પોરેટરો રોષે ભરાયા હતા અને આગામી દિવસોમાં વિવિધ કમિટીની રચના કરવામાં આવે તેમાં દલવાડી સમાજને કોઈ પદ ના આપવામાં આવે તેવું જણાવી નીકળી ગયા હતા એટલું જ નહિ વર્ષોથી પાટીદાર સમાજના ધારાસભ્ય કેમ છે તેવો પ્રશ્ન પણ ઉઠાવવામાં આવ્યો હતો
કોર્પોરેટરોએ રજૂઆત કરી છે : જયંતી રાજકોટિયા
જે મામલે જીલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયાનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે દલવાડી સમાજના કોર્પોરેટરો રજૂઆત કરવા આવ્યા હતા તેની રજૂઆત સાંભળી છે પક્ષ સાથે ચર્ચા કરી નિર્ણય કરવામાં આવશે


