

મોરબી શહેરમાં વિશ્વ હિન્દુ પરિષદ – દુર્ગાવાહિની તથા માતૃશક્તિ, મોરબી દ્વારા રક્ષાબંધનના પાવન પર્વ નિમિત્તે વિવિધ સેવાકીય ક્ષેત્રોમાં ફરજ બજાવતા ભાઈઓને રક્ષાસૂત્ર બાંધી રક્ષાબંધન પર્વની ભાવભીની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સમાજની સેવા અને સુરક્ષા માટે સતત કાર્યરત વિવિધ વિભાગોના કર્મચારીઓ તથા ભાઈઓને રક્ષાસૂત્ર બાંધી તેમના પ્રત્યે સન્માન અને બંધુત્વની ભાવના વ્યક્ત કરવામાં આવ્યો હતો.
આ અંતર્ગત ટ્રાફિક પોલીસના કર્મચારી ભાઈઓ, સિવિલ હોસ્પિટલના કર્મચારી ભાઈઓ, મહાનગરપાલિકાના કર્મચારી ભાઈઓ, સબ જેલના કર્મચારી ભાઈઓ, યદુનંદન ગૌશાળાના સેવાભાવી ભાઈઓ, વૃદ્ધાશ્રમના વડીલો, મનોવિકલાંગ ભાઈઓ તેમજ સમાજના વિવિધ ક્ષેત્રોમાં સેવા આપતા ભાઈઓને રક્ષાસૂત્ર બાંધવામાં આવ્યા હતા.
તદુપરાંત મોરબી જિલ્લા કલેક્ટર, ડેપ્યુટી કલેક્ટર, મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક (એસ.પી.), એલ.સી.બી. તથા એસ.ઓ.જી.ના અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ વિશ્વ હિન્દુ પરિષદ – બજરંગદળના ભાઈઓને પણ રક્ષાસૂત્ર બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી.
રક્ષાબંધન માત્ર ભાઈ-બહેનના પવિત્ર સંબંધનું પર્વ નથી, પરંતુ સમાજમાં પ્રેમ, સ્નેહ, પરસ્પર સન્માન, સુરક્ષા અને એકતાની ભાવના વધુ મજબૂત બનાવતું પર્વ છે. આ ભાવનાને ઉજાગર કરતાં દુર્ગાવાહિની તથા માતૃશક્તિ દ્વારા વિવિધ ક્ષેત્રોમાં નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા ભાઈઓ સાથે રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી.

