


હળવદ તાલુકાના ઘનશ્યામપુર ગામમાં દુઃખદ ઘટના સામે આવી છે. ગામના તળાવમાં નાહવા પડેલા ત્રણ યુવાનો અચાનક ઉંડા પાણીમાં ગરકાવ થઈ જતાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. ઘટનામાં બે યુવાનોનો સમયસર બચાવ કરવામાં સફળતા મળી હતી, જ્યારે એક યુવાનનું કરુણ મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.
પ્રાપ્ત માહિતી મુજબ ડીસા વિસ્તારમાંથી આવેલા યુવાનો માલધારી સમાજના ઘેટાંની ઊન કાપવાના કામ માટે ઘનશ્યામપુર ગામે આવ્યા હતા. કામ દરમિયાન ત્રણેય યુવાનો તળાવમાં નાહવા માટે પડ્યા હતા. જોકે તળાવના ઉંડા પાણીમાં ગરકાવ થતાં ત્રણેય ડૂબવા લાગ્યા હતા. સ્થાનિક લોકો અને અન્ય સાથીઓની મદદથી બે યુવાનોને બચાવી લેવામાં આવ્યા હતા, જ્યારે મોહમ્મદ ફકીર (ઉ.વ. 25) નામના યુવાનને બચાવી શકાયો નહોતો.
ઘટનાની જાણ થતાં જ મોટી સંખ્યામાં ગ્રામજનો તળાવ કાંઠે એકત્રિત થઈ ગયા હતા. ફાયર વિભાગ તથા ટીકરની તરવૈયાઓની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને શોધખોળ હાથ ધરી હતી. ભારે જહેમત બાદ યુવાનની લાશ તળાવમાંથી બહાર કાઢવામાં આવી હતી.
બાદમાં મૃતદેહને જરૂરી કાર્યવાહી પૂર્ણ કરી પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો. આ દુર્ઘટનાને પગલે ઘનશ્યામપુર ગામ તેમજ મૃતકના પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
મયુર રાવલ હળવદ

