


મોરબી જિલ્લાના ખાનપર ગામ ખાતે સમયસર પહોંચેલી ૧૦૮ એમ્બ્યુલન્સ ટીમની ઉત્કૃષ્ટ કામગીરી અને તબીબી સૂઝબૂઝના કારણે ઇમરજન્સીમાં જોડિયા બાળકોની સફળ ડિલિવરી કરાવવામાં આવી હતી. એમ્બ્યુલન્સ ટીમ દ્વારા સ્થળ પર જ જરૂરી પ્રાથમિક સારવાર આપી માતા અને બંને નવજાત શિશુઓનો જીવ બચાવીને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે સુરક્ષિત ખસેડવામાં આવ્યા છે.

વિગતો અનુસાર, સવારે ખાનપર ગામથી ઇમરજન્સી કૉલ મળતા જ એમ્બ્યુલન્સ GJ18GC0112 તાત્કાલિક ઘટનાસ્થળે રવાના થઈ હતી. એમ્બ્યુલન્સમાં ફરજ પરના ઈએમટી (EMT) દિલીપ સોલંકી અને પાયલોટ જયદેવસિંહ જાડેજા દ્વારા ઈઆરસીપી (ERCP) ડૉ. રામાણી સરના ઓન-કોલ માર્ગદર્શન હેઠળ સારવાર શરૂ કરવામાં આવી હતી. જેમાં સવારે ૮:૧૬ વાગ્યે પ્રથમ બાળકનો અને સવારે ૮:૨૬ વાગ્યે બીજા બાળકનો સફળતાપૂર્વક જન્મ થયો હતો. ડિલિવરી બાદ તબીબી સલાહ મુજબ માતાને સમયસર સારવાર આપવામાં આવી હતી. હાલ માતા અને બંને બાળકો મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે સંપૂર્ણપણે સ્વસ્થ છે.