


મોરબીના વાવડી રોડ પર ઇલેક્ટ્રિક થાંભલા પરથી કબૂતર ઉતારવા ચડેલા એક ૧૨ વર્ષના બાળકને વીજ કરંટ લાગતા તેનું મોત નીપજ્યું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર, વાવડી રોડ પર ગોકુલ ફાર્મની સામે રહેતા દિનેશભાઈ દેગામાનો ૧૨ વર્ષીય પુત્ર કરણ ઉર્ફે કલો ગત ૧૪ જુલાઈના રોજ પોતાના ઘર નજીક આવેલ એક ઇલેક્ટ્રિક થાંભલા પર કબૂતર ઉતારવા માટે ચડ્યો હતો. તે દરમિયાન અચાનક તેને ઇલેક્ટ્રિક લાઈનમાંથી જોરદાર કરંટ લાગતા તે શરીરે ગંભીર રીતે દાઝી ગયો હતો. તેને તાત્કાલિક સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ રિફર કરવામાં આવતા ત્યાંના ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. મોરબી સીટી એ ડીવીઝન પોલીસે આ મામલે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.