

મોરબી જીલ્લામાં ખેડૂતોને પાકવીમો ચુકવવામાં રાજ્ય સરકાર ઠાગાઠૈયા કરી રહી હોવાનો આક્રોશ ઠાલવીને જીલ્લા કોગ્રેસ પ્રમુખ બ્રિજેશ મેરજાએ જણાવ્યું છે કે રાજ્યના મુખ્યમંત્રીએ જામકંડોરણા ખાતે એક માસ પૂર્વેના સહકારી સંમેલનમાં જાહેરાત કરી હતી કે ખેડૂતોને જન્માષ્ટમી પૂર્વે વીમો ચૂકવી દેવામાં આવશે પરંતુ આ જાહેરાતમાં જાહેર કરેલ તારીખો વીતી ચુકી હોય, જાહેરાત પોકળ સાબિત થઈ છે. મોરબી જીલ્લાના ખેડૂતો પાક્વીમાંના ચુકવણા માટે કાગડોળે રાહ જુએ છે. મોરબી માળિયા વિસ્તારના ખેડૂતો વખતોવખત પાકવીમા અન્યાયનો ભોગ બન્યા છે. તે જોતા પાક્વીમાંની જાહેરાતમાં થઈ રહેલ વિલંબ આડકતરી રીતે ખેડૂતોને અન્યાય થઇ રહ્યાની ભીતિ સેવાઈ રહી છે. ખેડૂતોને સિંચાઈમાં અન્યાય, આકાશી ખેતી પર નિર્ભર અને ખેત જણસના પૂરતા વળતર ના મળતા હોય તે ઉપરાંત વાવણીમાં બિયારણ નિષ્ફળ, અતિવૃષ્ટિમાં પાક બળી જવા અને ખેતીની જમીનમાં ધોવાણ જેવી સમસ્યાઓથી ખેડૂત પીડાય છે છતાં પાકવીમો તાત્કાલિક મળતો નથી જેથી તાત્કાલિક પાકવીમો ચુકવવા ખેડૂતોના હિતમાં જીલ્લા કોંગ્રેસ પ્રમુખે રાજ્યના કૃષિ સચિવને રજૂઆત કરી છે.