ભારત વિકાસ પરિષદ મોરબી શાખા વાર્ષિક સાધારણ સભા અને પદગ્રહણ સમારોહ યોજાયો

 

ભારત વિકાસ પરિષદ-મોરબી શાખા વાર્ષિક સાધારણ સભા-પદગ્રહણ સમારોહ (૨૦૨૫–૨૬) તાજેતરમાં યોજાયો હતો ઓમ વિલા, ધુનડા -સજનપર રોડ, ધુનડા.,સ્થળ ખાતે મોરબી શાખાની વાર્ષિક સાધારણ સભાનું આયોજન અત્યંત સુવ્યવસ્થિત અને ગૌરવપૂર્ણ માહોલમાં સફળતાપૂર્વક પૂર્ણ થયું હતું. સભામાં સભ્યોનો ઉત્સાહપૂર્ણ સહભાગ અને સકારાત્મક ઉર્જા સ્પષ્ટપણે અનુભવી શકાય તેવી હતી.

આ પ્રસંગે સૌરાષ્ટ્ર પ્રાંતના આગેવાનોની ગૌરવપૂર્ણ ઉપસ્થિતિ રહી હતી. જેમાં પ્રાંત ઉપાધ્યક્ષ  ઘનશ્યામભાઈ દેથરીયા તથા હળવદ શાખાના અધ્યક્ષ મણિલાલ પટેલ નિર્વાચન અધિકારી તરીકે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત પ્રાંત NGSC સહ-સંયોજક વિશાલભાઈ બરાસરા તેમજ પ્રાંત જિલ્લા સંયોજક ડૉ. જયેશભાઇ પનારા એ પણ હાજર રહી કાર્યક્રમને ગૌરવ અપાવ્યું હતું.

કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી, જે જ્ઞાન અને પ્રગતિનું પ્રતિક બની સમગ્ર વાતાવરણને પવિત્ર અને પ્રેરણાદાયક બનાવી ગયું. ત્યારબાદ કોમલબેન પનારા દ્વારા ભાવપૂર્વક વંદે માતરમનું ગાન રજૂ કરવામાં આવ્યું, જેનાથી દેશભક્તિની લાગણી વધુ પ્રબળ બની.

સભાની શરૂઆતમાં શાખાના પ્રમુખ હિંમતભાઈ મારવાણીયા દ્વારા હાર્દિક સ્વાગત પ્રવચન આપવામાં આવ્યું. તેમણે વર્ષ દરમિયાન શાખાએ હાથ ધરેલ વિવિધ કાર્યક્રમો, સામાજિક પ્રવૃત્તિઓ અને સિદ્ધિઓનો સુવ્યવસ્થિત અને વિગતવાર અહેવાલ રજૂ કર્યો, જે શાખાની સક્રિયતા અને પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ હતું.

આગળ વધતા, વિવિધ ગતિવિધિઓના કન્વીનરો દ્વારા તેમના પ્રકલ્પ અંતર્ગત યોજાયેલ કાર્યક્રમોની માહિતી અસરકારક રીતે રજૂ કરવામાં આવી, જેના દ્વારા સભ્યોને શાખાના બહુમુખી કાર્યોથી પરિચિત થવાની ઉત્તમ તક મળી.

પ્રાંત ઉપાધ્યક્ષ ઘનશ્યામભાઈ દેથરીયા અને મણિલાલ પટેલ દ્વારા પ્રસંગોચિત તથા માર્ગદર્શક ઉદ્બોધન આપવામાં આવ્યું, જે સભ્યો માટે પ્રેરણાસ્રોત સાબિત થયું. કાર્યક્રમ દરમિયાન શાખામાં નવા જોડાયેલા સભ્યોનું આત્મીય સ્વાગત કરવામાં આવ્યું, જેનાથી સંગઠન પ્રત્યેની એકતા અને જોડાણ વધુ મજબૂત બન્યું.

ત્યારબાદ પ્રાંત ઉપાધ્યક્ષ ઘનશ્યામભાઈ દેથરીયા દ્વારા નવ નિર્વાચિત કારોબારી સભ્યોને શપથ લેવડાવવામાં આવ્યા જેમાં કોષાધ્યક્ષ હિરેનભાઈ ધોરીયાણી, સચિવ વિશાલભાઈ બરાસરા અને અધ્યક્ષ ચિરાગભાઈ હોથી તેમજ શાખાના તમામ પ્રકલ્પોના હોદેદારોએ શપથ લીધા. જે એક મહત્વપૂર્ણ અને ગૌરવપૂર્ણ ક્ષણ રહી. અંતમાં આભારવિધિ રજૂ કરીને કાર્યક્રમનો સમાપન તબક્કો સુંદર રીતે પૂર્ણ કરવામાં આવ્યો. સમગ્ર કાર્યક્રમનું સુચારૂ, સંયમિત અને અસરકારક સંચાલન પરેશભાઈ મિયાત્રા દ્વારા પ્રશંસનીય રીતે કરવામાં આવ્યું.

 

 

Leave A Reply

Your email address will not be published.