મોરબી પાલિકાના પ્રમુખ નયનાબેન મહેશભાઈ રાજ્યગુરુ સામે કોંગ્રેસના ૨૨ સદસ્યોએ કરેલી અવિશ્વાસની દરખાસ્ત મામલે આજે મળેલી ખાસ સાધારણ સભામાં ઉપપ્રમુખ અનિલભાઈ મહેતા અને ઇન્ચાર્જ ચીફ ઓફિસર સાગર રાડિયા દ્વારા વોટીંગ લેવામાં આવ્યું હતું. પાલિકાની ખાસ સાધારણ સભા પૂર્વે જ આખી ગેમ ફિક્સ કરી દેવામાં આવી હોય અને પ્રમુખને હટાવવાનો તખ્તો અન્ય કોઈએ નહિ પરંતુ તેને ટેકો આપનારા ભાજપ પક્ષે જ તૈયાર કર્યો હોય તેમ આજે મતદાન કરવામાં આવ્યું હતું જેમાં પાલિકાના કુલ ૫૨ પૈકીના ૪૫ સદસ્યોએ અવિશ્વાસ દરખાસ્તને ટેકો આપીને પ્રમુખની વિરુદ્ધમાં મતદાન કર્યું હતું જયારે માત્ર ૬ સભ્યોએ સમર્થનમાં અને એક સદસ્ય મતદાનથી અળગા રહ્યા હતા. પાલિકા પ્રમુખ સામે અવિશ્વાસ દરખાસ્ત ૪૫ સદસ્યોના વોટીંગથી મંજુર થઇ ચુકી છે જેથી અગાઉથી કરેલી ધારણા મુજબ પાલિકામાં સત્તા પલટો થશે તે નક્કી છે અને હવે કલેકટરની સુચનાથી પ્રમુખ પદ માટે ચુંટણીઓ યોજવામાં આવશે.