મોરબીના ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ પર ‘યુદ્ધ’નું ગ્રહણ: હજારો ટ્રકોની અવરજવરમાં જંગી ધટાડો

 

વૈશ્વિક સ્તરે સર્જાયેલી યુદ્ધની પરિસ્થિતિની સીધી અને માઠી અસર મોરબીના ઉધોગો પર જોવા મળી રહી છે. સીરામિક એકમો ઠપ્પ થતા તેની ચેઈન રિએક્શન રૂપે ટ્રાન્સપોર્ટ વ્યવસાયના પૈડાં પણ થંભી ગયા છે. મોરબીમાં દરરોજ જે રસ્તાઓ પર ૮ થી ૯ હજાર ટ્રકોની ધમધમાટ જોવા મળતી હતી, ત્યાં અત્યારે માંડ ૫૦૦ થી ૧૦૦૦ ટ્રકો જોવા મળી રહ્યા છે. આ મંદીના કારણે ડ્રાઈવર અને મજૂર સહિત અંદાજે ૧૦ લાખ જેટલા લોકોની રોજીરોટી છીનવાઈ જશે તેવી શક્યતાઓ વ્યકત કરી છે.

 

મોરબી ટ્રક ટ્રાન્સપોર્ટેશન એસોસીએશનના પ્રમુખ અને સૌરાષ્ટ્ર ટ્રક ટ્રાન્સપોર્ટેશન એસોસીએશનના ઉપપ્રમુખ પ્રભાતભાઈ આહીરે આ ગંભીર સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આ સંકટનું મુખ્ય કારણ ઇંધણના વધતા ભાવ અને સીરામિક એકમો બંધ થવું છે. સીરામિક ઉદ્યોગ અટકી પડતા કાચા માલની અવરજવર સંપૂર્ણપણે બંધ થઈ ગઈ છે, જેના કારણે ટ્રાન્સપોર્ટરો માટે ભારે મુશ્કેલી ઊભી થઈ છે. હજારો ટ્રકો હાલ ધૂળ ખાઈ રહી છે અને તેના પર નિર્ભર પરિવારો પણ સંકટમાં મુકાઈ રહ્યા છે.

 

વધુમાં, ટ્રાન્સપોર્ટ એસોસીએશન સાથે હાલ ૧૦૦૦ જેટલા ટ્રાન્સપોર્ટરો જોડાયેલા છે, જેઓ આ આર્થિક ફટકાનો સામનો કરી રહ્યા છે. જે રીતે ટ્રકોની અવરજવરમાં જંગી ઘટાડો થયો છે તે જોતા આગામી દિવસોમાં જો પરિસ્થિતિ નહીં સુધરે તો ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ સંપૂર્ણપણે ભાંગી પડવાની ભીતિ સેવાઈ રહી છે. ઉદ્યોગકારો અને ટ્રાન્સપોર્ટરો હવે આ યુદ્ધની સ્થિતિ શાંત થાય અને ફરીથી વ્યાપાર-ધંધા પાટા પર ચડે તેની કાગડોળે રાહ જોઈ રહ્યા છે.

Leave A Reply

Your email address will not be published.