



હળવદમાં સરકારી અનાજ કોભાંડ પ્રકાશમાં આવ્યા બાદ પુરવઠા વિભાગની ટીમે દરોડા કાર્યવાહી વધુ સઘન બનાવી છે જેમાં હળવદના નવા ઈશનપુર ગામે રાશનની દુકાનમાં દરોડો કરતા ખુલ્લામાં પડેલ ચાર બેરલ કેરોસીન, ૧પ૦ કિલો ખાંડ, ૧૯ કટા ચોખા તેમજ ૪૭ કટા ઘઉંના મળી આવતા દુકાન અને ગોડાઉનને સીલ કરી દેવામાં આવ્યા છે.
જીલ્લા પુરવઠા અધિકારી દમયંતીબેન બારોટની ટીમ દ્વારા હળવદ પંથકમાં દરોડા કરવામાં આવી રહ્યા છે સરકારી અનાજની હેરાફેરી અને બેનંબરી વેપાર કરનાર વેપારીઓ પર તબાહી બોલાવવા માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે જેમાં હળવદની જલારામ જનરલ પ્રોવિઝન સ્ટોરના પાછળના ગોડાઉનમાં દરોડો પાડતા પ૦ કિલો રાશનના ચોખાનું કટુ મળી આવતા ગોડાઉન સીલ કરી દેવામાં આવ્યું છે
જીલ્લા પુરવઠા અધિકારી ઉપરાંત હળવદ મામલતદાર વી.કે.સોલંકી સહિતની ટીમે કરેલી દરોડા કાર્યવાહીમાં ચોખાનું કટુ મળી આવેલ તે નયનભાઈ ઠક્કર નવા ઈશનપુર ગામે રાશન દુકાનદાર હોય અને દુકાનદારે ત્રણ માસથી રેશનીંગ વિતરણ પણ ના કર્યું હોવાના ચોકાવનારા ખુલાસાઓ થવા પામ્યા છે જેથી પુરવઠા વિભાગની ટીમે કડક કાર્યવાહી કરી સીલ લગાવી દીધું છે તો તંત્રના દરોડાથી કાળાબજારી અને બેનંબરી ધંધા કરનારાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે બીજી તરફ આમ નાગરિકો તંત્રની કાર્યવાહીને આવકારી રહ્યા છે



