મોરબી સિરામિક એસોના હોદેદારોએ ઉદ્યોગના પ્રશ્નો અંગે મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી


હાલ યુધ્ધને પગલે મોરબી સિરામિક ઉદ્યોગમાં ગેસ કટોકટી જોવા મળી રહી છે અને ઉદ્યોગ બંધ થવાની આરે આવી પહોંચ્યો છે ત્યારે ઉદ્યોગોના પ્રશ્ને મોરબી સિરામિક એસોના હોદેદારોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાને સાથે રાખી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાથે ગાંધીનગર મુલાકાત કરી હતી
જે મુલાકાતમાં સિરામિક એસો આગેવાનોએ હાલમાં ઇરાન – ઇઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને હિસાબે ઇમ્પોર્ટડ ગેસ અને એક્સપોર્ટમાં સિરામિક ઉદ્યોગમાં જે તકલીફ ઉભી થઇ છે તે બાબતમાં ઉંડાણપુર્વક ચર્ચા કરી હતી. જેમાં સિરામિક ઉદ્યોગને કંઇ રીતે લાભ આપી શકાય તે બાબતે મુખ્યમંત્રીએ વિસ્તૃત ચર્ચા કરી હતી. યુધ્ધને લીધે સિરામિક ઉદ્યોગને પડતી તમામ મુશ્કેલીઓમાં રાજ્ય સરકાર હર હંમેશા સાથે રહેશે અને શક્ય તમામ મદદ કરવા મુખ્યમંત્રીએ ખાતરી આપી હતી જે બદલ સિરામિક એસોસિએશનના હોદ્દેદારોએ મુખ્યમંત્રીનો આભાર માન્યો હતો.
સાથો સાથ રાજ્ય સરકારના ઉર્જા મંત્રી કૌશિકભાઇ વેકરિયા અને પાણી પુરવઠા મંત્રી ઇશ્વરસિંહ પટેલ, રાજ્ય સરકારના અગ્ર સચિવ એમકે દાસ અને ગુજરાત ગેસના એમડી અવંતિકાસિંગને રુબરુ મળી ઉધોગના પ્રશ્નો અને ગેસના પુરવઠા બાબતે ચર્ચા કરી હતી જેમાં પણ રાજ્ય સરકાર ઉધોગ સાથે રહીને વિકટ પરિસ્થિતિમાં ઉધોગના વિકાસ માટે હર હમેશા તૈયાર રહેશે. સિરામિક ઉદ્યોગના વિવિધ પ્રાણ પ્રશ્નો બાબતે રાજ્ય સરકાર અગ્રેસર રહી યુધ્ધની પરિસ્થિતિમાં ઉધોગની ઉન્નતિ અને વિકાસ માટે સાથ સહકાર આપશે જે બદલ રાજ્ય સરકારનો સિરામિક એસોસિએશનના હોદ્દેદારોએ આભાર વ્યક્ત કર્યો છે




