પંચાસર રોડના કામમાં ભ્રષ્ટાચારની તપાસ કરી કસુરવાનોને દંડ કરવા માંગ
આમ આદમી પાર્ટીના અગ્રણીએ મુખ્યમંત્રીને રજૂઆત કરી


મોરબીમાં નવો બનેલ પંચાસર રોડના કામમાં થયેલા ભ્રષ્ટાચારની તપાસ કરાવી કસુરવાનોને યોગ્ય દંડ આપવાની માંગ સાથે જોઈન્ટ સેક્રેટરી ગુજરાત સ્ટેટ આમ આદમી પાર્ટીના કાન્તિલાલ બાવરવાએ રાજ્યના મુખ્યમંત્રીને રજૂઆત કરી છે
રજુઆતમાં જણાવ્યું છે કે મોરબી મહાનગર પાલિકામા પંચાસર રોડ આવેલ છે. આ રોડને સિમેન્ટ કોન્ક્રેટ રોડથી મઢવાનું કામ છ મહિના પહેલા કરવામાં આવ્યું હતું હાલ આ સિમેન્ટ કોન્ક્રેટ રોડમા ગાબડાઓ પડી ગયા છે તો શું ? સિમેન્ટ કોન્ક્રેટ રોડ એટલો સમય જ ટકે ? આવા રોડની લાઈફ કેટલી નક્કી કરેલ હોય છે ?
આ કામ સરકારી પૈસા કે જે લોકોના ટેક્ષ દ્વારા સરકાર પાસે આવતા હોય છે.જે પૈસાથી આવા કામો થતા હોય છે. જો સરકારી પૈસા દવારા થતા કામો આવા નબળા થાય તો તેના માટે જવાબદાર કોણ? આ કામ મંજુર કરનાર અધિકારી, કામ કરાવનાર અધિકારી, કોન્ટ્રાકટર વગેરેની કોઈ જવાબદારી બને છે કે નહિ ? જો આવું જ ચાલશે તો મોરબીમા બધા જ રોડ દર વર્ષે નવા કરવા પડશે, અને જો સરકારના પૈસે થયેલા રોડ જો આવા બનતા હોય તો આના માટે જવાબદાર કોણ ? જેથી યોગ્ય તપાસ કરાવી જવાબદારો સામે કાર્યવાહી કરવા માંગ કરી છે




