

વાંકાનેરનાં ખીજડીયા ગામના પાટીયા નજીક વળાંક પાસે ટ્રક રાત્રીના સાઇડ લાઇટ કે પાર્કીંગ લાઇટ ચાલુ રાખ્યા વગર તથા રોડ ઉપર કોઇ આડશ કે રીફ્લેક્ટર રાખ્યા વગર ઉભો હોય, જેનાં કારણે ટ્રકની પાછળના ભાગે કાર અથડાઈ હતી. આ અકસ્માતમાં કાર ચાલકને ગંભીર ઈજાઓ થતા મોત નીપજ્યું હતું.
ઘટનાની વિગતો અનુસાર દિલીપસિંહ દશરથસિંહ જાડેજા ઉ.વ.૩૩એ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, વાંકાનેરના ખીજડીયા ગામના પાટીયા નજીક વળાંક પાસે ટ્રક નં. જીજે૧૭વાય૯૯૭૬ વાળાના ચાલકે પોતાના હવાલાવાળો ટ્રક રોડ ઉપર રાત્રીના અંધકારમાં ટ્રાફિકને અડચણરૂપ તથા આમ જનતાને અડચણરૂપ થાય તેમજ માણસોની જીંદગી જોખમાઇ તે રીતે રાત્રીના સાઇડ લાઇટ કે પાર્કીંગ લાઇટ ચાલુ રાખ્યા વગર તથા રોડ ઉપર કોઇ આડશ કે રીફ્લેક્ટર રાખ્યા વગર ઉભો રાખ્યો હતો. આ ટ્રકના પાછળના ભાગે ફરિયાદીના મોટાભાઈ પૃથ્વીરાજસિંહ જાડેજાનાં હવાલાવાળી અલ્ટો કાર રજી.નંબર જીજે૩૬આર૧૪૯૪ વાળી અથડાતા અકસ્માતમાં ફરિયાદીના મોટાભાઈનું માથાના ભાગે ગંભીર ઇજા થવાના કારણે મોત નીપજ્યું હતું.

