


મોરબી: રાજ્ય સરકાર દ્વારા પશુપાલકોને તેમના પશુઓને ઘરઆંગણે તાત્કાલિક અને નિઃશુલ્ક સારવાર મળી રહે તે હેતુથી શરૂ કરવામાં આવેલી 1962 મોબાઇલ પશુ ચિકિત્સા સેવા ગ્રામ્ય વિસ્તારોમાં સતત અસરકારક કામગીરી કરી રહી છે.
તા. 08-07-2026ના રોજ મોરબી જિલ્લાના માટેલ લોકેશનના મકતાનપર ગામ ખાતે રહેતા પશુપાલક દિનેશભાઈની ગાયનું શિંગડું અકસ્માતે તૂટી જતાં ભારે રક્તસ્ત્રાવ શરૂ થયો હતો. પશુપાલકે તરત જ 1962 હેલ્પલાઇન પર સંપર્ક કરતા કોલ મળતાની સાથે જ 1962ની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.
ટીમ દ્વારા ગાયની સ્થિતિનું નિરીક્ષણ કર્યા બાદ પશુ ચિકિત્સકે જરૂરી સારવાર શરૂ કરી અને તૂટેલા શિંગડાનું સફળ ઓપરેશન કરીને રક્તસ્ત્રાવ સંપૂર્ણપણે બંધ કર્યો હતો. સમયસર અને યોગ્ય સારવાર મળતા ગાયનો જીવ બચી ગયો હતો. હાલ પશુની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.
આ કામગીરીમાં ડૉ. રિયાઝ તથા પાઇલોટ કમ ડ્રેસર રણજિતભાઈએ નિષ્ઠાપૂર્વક અને કુશળતાપૂર્વક પોતાની ફરજ બજાવી સફળ ઓપરેશન પૂર્ણ કર્યું હતું. આ સમગ્ર કામગીરી દરમિયાન મોરબી જિલ્લાના પ્રોજેક્ટ કોઓર્ડિનેટર રવિ ચૌહાણ તથા પ્રોગ્રામ મેનેજર ડૉ. શોયેબ ખાન સાહેબના માર્ગદર્શન અને અસરકારક સંકલન હેઠળ 1962ની ટીમે સમયસર સ્થળ પર પહોંચી સફળતાપૂર્વક સારવાર પૂર્ણ કરી હતી.
સફળ સારવાર બાદ પશુપાલક દિનેશભાઈએ 1962ની સમગ્ર ટીમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે રાજ્ય સરકારની 1962 મોબાઇલ પશુ ચિકિત્સા સેવા ગ્રામ્ય પશુપાલકો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે અને આવી ઝડપી તથા ગુણવત્તાસભર સેવાથી અનેક પશુઓના જીવ બચી રહ્યા છે.
