જળસંચય અભિયાન સમાપન કાર્યક્રમ હળવદ ખાતે યોજાશે

રાજય સરકાર દવારા સુઝલામ સુફલામ યોજના હેઠળ ગત તા.૧લી મે ગુજરાત  ગૌરવદિન થી રાજયવ્યાપી પ્રારંભ કરેલ આ જળસંચય અભિયાનનો મોરબી જિલ્લાનો સમાપન કાર્યક્રમ સ્વર્ણીમ ગુજરાત ૫૦ મુદા અમલીકરણ સમિતિના કાર્યવાહક અધ્યક્ષ આઇ.કે. જાડેજાની પ્રેરક ઉપસ્થિતિમાં તા. ૩૧ મી મે ૨૦૧૮ ના સવારના ૯-૦૦ કલાકે હળવદના સામતસર તળાવ ખાતે  યોજાશે. જેમાં નર્મદા જળથી ભરેલ ૧૧ કળશનું પૂજન કરાશે. અને સારા વરસાદ તેમજ જળથી તળાવ કુવાઓ ભરાઇ જાય તેવી પ્રાર્થના કરાશે.

મોરબી જિલ્લામાં આ એક માસ સુધી યોજાયેલ જળસંચય કાર્યક્રમને વહિવટીતંત્ર સાથે લોકો,સ્વૈચ્છીક, સામાજિક  સંસ્થાઓ, ઉધોગકારોએ મોટા પ્રમાણમાં જોડાઇ આ અભિયાનને ઉપાડી લીધુ હતું જેના  પરિણામે ૨૨૦ જળસંચય કામો હાથ ધરાયા હતા જેમાં મોટાભાગના કામો પૂર્ણ કરી દેવામાં આવ્યા છે. આમ સતત એક માસ સુધી હાથ ધરાયેલ આ જળસંચય અભિયાનનો તા. ૩૧ મેના શાસ્ત્રોકત  વિધિપૂર્વક કાર્યક્રમ યોજાશે. સાથે મોરબી જિલ્લા માહિતી કચેરી દવારા પ્રદર્શન યોજાશે.

આ સમાપન કાર્યક્રમમાં બ્રાહ્મણો દવારા થનાર  પૂજનમાં આઇ.કે.જાડેજા, જિલ્લા કલેકટર આર.જે. માકડીયા, જિલ્લા વિકાસ અધિકારી એસ.એમ. ખટાણા, જિલ્લા પોલીસ અધિકારી જયપાલસિંહ રાઠોડ સહિત જિલ્લાના જુદા જુદા વિભાગના અધિકારીઓ, પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે.

Comments
Loading...
WhatsApp chat