

મોરબી જિલ્લામાં ઓરી રૂબેલા રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે ત્યારે મોરબી જીલ્લામાં અત્યાર સુધીમાં ૧.૩૫ લાખ બાળકોને ઓરી અને રૂબેલાનું રસીકરણ કરવામાં આવ્યું છે. જો કોઈ બાળક બાકી રહી ગયું હોય તો તેને આ રસી લેવા મોરબી જીલ્લા આરોગ્ય વિભાગ દ્વારા અનુરોધ કર્યો છે.
રાજ્યભરમાં ઓરી અને રુબેલા જેવા ગંભીર રોગોથી બાળકોને સુરક્ષીત કરવા માટે ખાસ અભિયાનચાલી રહ્યું છે ત્યારે મોરબી જિલ્લાના ૯ માસથી ૧૫ વર્ષ સુધીના તમામ બાળકોને ઓરી રુબેલા રસી આપવામાં આવી રહી છે. આ કામગીરીમાં અત્યાર સુધીમાં મોરબી જિલ્લાના ૧.૩૫ લાખ બાળકોને રસી આપીને ઓરી અને રુબેલા રોગ સામે સુરક્ષિત કરવામાં આવ્યા છે.
તાજેતરમાં ઓરી અને રુબેલા અંગેની ખોટી અફવાઓ ફેલાવવામાં આવી હતી.જયારે અત્યાર સુધીમાં રાજ્યના ૧ કરોડથી પણ વધુ બાળકોને ઓરી અને રુબેલાની રસી સફળતા પૂર્વક આપવામાં આવી છે. જેથી વાલીઓએ આડઅસર થતી હોવાની ખોટી માન્યતાઓમાં ન ભરમાઈને બાળકને રસી અપાવવા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ અનુરોધ કર્યો છે.તેમજ જે કોઈ બાળકો રસી લેવામાં બાકી રહી ગયા હોય તેના વાલીઓને નજીકના આશાબહેન, આંગણવાડી વર્કર, હેલ્પર બહેન, આરોગ્ય કાર્યકર અથવા સરકારી દવાખાનાનો સંપર્ક કરવા જણાવાયું છે.