ચૂંટણીપંચ દ્વારા રાષ્ટ્રપતિની ચૂંટણી માટેનો કાર્યક્રમ જાહેર, ૧૮મી જુલાઈએ મતદાન યોજાશે

 

ભારતના નવા રાષ્ટ્રપતિને ચૂંટવા માટે ભારતના ચૂંટણીપંચ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરી સત્તાવાર કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. તે મુજબ,

(૧) ઉમેદવાર તરીકે નોમીનેશન દાખલ કરવાની છેલ્લી તારીખ: ૨૯-૦૬-૨૦૨૨

(૨) ઉમેદવારોના નોમિનેશન ચકાસવાની તારીખ : ૩૦-૦૬-૨૦૨૨

(૩) ઉમેદવારી પત્ર પરત ખેંચવાની છેલ્લી તારીખ : ૨-૭-૨૦૨૨

(૪) મતદાનની તારીખ : ૧૮-૭-૨૦૨૨ (જો ચૂંટણી જરૂરી બને તો)

 

જો ઉમેદવારી પત્ર પરત ખેંચવાની છેલ્લી તારીખ બાદ ચૂંટણી જરૂરી બને તો તારીખ : ૧૮-૭-૨૦૨૨ના રોજ દિલ્હી ખાતે રાજ્યસભા અને લોકસભાના ચૂંટાયેલા તમામ સભ્યો માટે સંસદ ભવનના પ્રથમ માળે રૂમ નંબર-૬૩માં મતદાનની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. રાજ્યોમાં ચૂંટાયેલા ધારાસભ્યશ્રીઓ માટે જે તે રાજ્યની વિધાનસભા સંકુલમાં મતદાન યોજાશે.

ગુજરાતના ચૂંટાયેલા ધારાસભ્યશ્રીઓ માટે ગુજરાત વિધાનસભા, વિઠ્ઠલભાઇ  ભવનના ચોથા માળે આવેલા બેન્કવેટ હોલમાં તા.૧૮-૦૭-૨૦૨૨ના રોજ મતદાનની વ્યવસ્થા રહેશે.મતદાનનો સમય સવારના ૧૦.૦૦ વાગ્યાથી સાંજના ૫.૦૦ વાગ્યા સુધીનો નિયત કરવામાં આવેલ છે.

 

ભારતના હાલના રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદનો કાર્યકાળ તા. ૨૪મી જુલાઈ,૨૦૨૨ના રોજ પૂર્ણ થાય છે. તેથી ઇલેક્ટ્રોલ કોલેજ, એટલે કે સંસદ અને વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો બંધારણીય જોગવાઈ મુજબ નવા રાષ્ટ્રપતિને ચૂંટવા પોતાના મતાધિકારનો ઉપયોગ કરી નવા રાષ્ટ્રપતિની પસંદગી કરે છે.

 

જાહેરનામામાં વધુ જણાવ્યાનુસાર સામાન્ય રીતે સંસદ સભ્યો નવી દિલ્હીમાં પોતાનો મત આપે તે ઇચ્છનીય છે. તેવી જ રીતે વિધાનસભાના સભ્યો પોતાના રાજ્યની વિધાનસભા ખાતે પોતાનો મત આપે.પરંતુ અનિવાર્ય સંજોગોમાં સંસદ સભ્યો કોઇપણ રાજ્ય / દિલ્હી /પુડ્ડુચેરીમાં આયોજીત કોઇપણ મતદાન કેન્દ્ર ઉપર જઇ મત આપી શકે છે.તેવી જ રીતે, ધારાસભ્યો પણ પોતાના રાજ્યની વિધાનસભા સિવાય સંસદ ભવન, નવી દિલ્હી અને અન્ય રાજ્યની વિધાનસભા ખાતે પોતાનો મત આપી શકે છે.પરંતુ, તે માટે સંસદ સભ્યો અને ધારાસભ્યોએ રિટર્નીંગ ઓફિસર, આસિસ્ટન્ટ રિટર્નિગ ઓફિસર પાસે ઉપલબ્ધ નિયત નમૂના મુજબ અથવા ચૂંટણી પંચની વેબસાઇટ http://www.eci.gov.in ઉપરથી ડાઉનલોડ કરીને મતદાનની તારીખથી ૧૦ દિવસ અગાઉ રજૂ કરવાનું રહે છે.

 

ઉમેદવારી પત્ર રજૂ કરવા ઇચ્છુક ઉમેદવારોને અથવા તેમની દરખાસ્ત કરનારને   નોમિનેશન ફોર્મ રૂ. ૧૫,૦૦૦ ડિપોઝીટ રોકડમાં અથવા આર.બી.આઇ.અથવા કોઇપણ તિજોરી કચેરીમાં નાણા જમા કરાવ્યાની પહોંચ રજૂ કરવાથી રિટર્નિંગ ઓફિસર ફોર ધી પ્રેસિડેન્શિયલ ઇલેક્શન-૨૦૨૨ ઇલેક્શન-૨૦૨૨ અને સેક્રેટરી જનરલ રાજ્યસભાની ઓફિસ રૂમ નં.૨૯, ગ્રાઉન્ડ ફલોર, સંસદ ભવન, નવી દિલ્હી અથવા તેમની અનિવાર્ય  અનઉપસ્થિતિમાં આસિ.રિટર્નિંગ ઓફિસર, ઓએસડી, જોઇન્ટ સેક્રેટરી અને ચીફ વિજીલન્સ ઓફિસર (રાજ્યસભા સેક્રેટરીએટ) પાસેથી મળી રહેશે.ઉમેદવારી રજૂ કરનારે ઉમેદવારી પત્રની સાથે જેતે સંસદીય મતદાર ક્ષેત્રની મતદાર યાદીમાં  મતદાર તરીકે નોંધાયેલા હોવા અંગેની પ્રમાણીત નકલ રજૂ કરવાની રહેશે.

 

આ જાહેરનામું રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી અધિનિયમ , ૧૯૫૨ની કલમ-૪ની પેટા- કલમ (૧) હેઠળ , ભારતના રાષ્ટ્રપતિના કાર્યાલયને ભરવા માટે ચૂંટણી યોજવા માટેની સૂચના અન્વયે આ જાહેરનામું ચૂંટણી પંચના રિટર્નિંગ ઓફિસર દ્વારા પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે.

…………………….

Comments
Loading...
WhatsApp chat