


ટંકારા તાલુકાના અનુસૂચિત જાતિના સરપંચોને અસામાજિક તત્વો દ્વારા યેનકેન પ્રકારે હેરાન કરી સરપંચ પદેથી હટાવવા માટે ના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જે અંગે તાકીદે કાર્યવાહી કરવા ની માંગ સાથે ટંકારાની અનુસૂચિત જાતિ ના આગેવાન નાગજીભાઈ ચૌહાણે જિલ્લા કલેકટરને રજૂઆત કરી હતી
રજૂઆતમાં જણાવાયું હતું કે ટંકારા તાલુકાના છતર, હડમતીયા, વિરપર અને નસીતપર ગામમાં અનુસૂચિત જાતિના સરપંચ કાર્યરત છે. હાલમાં અસામાજિક તત્વો દ્વારા ષડયંત્ર રચી અને સરપંચોને યેનકેન પ્રકારે હેરાન કરવામાં આવી રહ્યા છે. ઉપરાંત ગામના વિકાસના કામોમાં વિરોધ કરીને ખોટી રીતે અવિશ્વાસની દરખાસ્તો તેમજ પંચાયતના સભ્યોના રાજીનામા અપાવીને સરપંચને હોદ્દા પરથી હટાવવા માટે કાવતરા રચવામાં આવી રહ્યા છે. અસામાજિક તત્વો અનુસૂચિત જાતિના સરપંચોના સંવૈધાનિક અધિકારો પર તરાપ મારી રહ્યા છે
વધુમાં જણાવાયું હતું કે છતર, હડમતીયા, વિરપર અને નસીતપર ગામના અનુસૂચિત જાતિના સરપંચ સામે જો કોઈ ખોટી ફરિયાદ આવે તો તેમને બરતરફ કરતાં પૂર્વે યોગ્ય તપાસ કરવી. અનુસુચિત જાતિના સરપંચો પર હુમલો કે ષડયંત્રની ઘટના બનશે તો તેની સંપૂર્ણ જવાબદારી સરકારની રહેશે જેથી તાકીદે પગલાં ભરવામાં આવે તેવી માંગ છે.

