


ટંકારાના ગ્રામજનો છેલ્લા ઘણા વર્ષોથી પીવાના પાણીની સમસ્યાથી પીડાઈ રહ્યા છે. બે વર્ષ પૂર્વે ફિલ્ટર પ્લાન્ટ મંજુર તો થઈ ગયો પરંતુ તેનું કામ આગળ વધ્યું જ નથી. સરપંચ સહિતના આગેવાનોએ ગાંધીનગર સુધી રજુઆતો કરી છતાં કઈ નક્કર પરિણામ ન મળતા ટંકારાના સરપંચ અને માજી સરપંચ એ દંપતીએ ઉપવાસ આંદોલન શરુ કર્યું હતું જેના ત્રીજા દિવસે ખાતરી મળતા ઉપવાસીઓએ પારણા કર્યા હતા.
ટંકારા ગામ મહર્ષિ દયાનંદ સરસ્વતીની જન્મભૂમી છે જે આજે ભરઉનાળે પાણી માટે વલખા મારી રહી છે.ટંકારા ગામે પીવાના પાણીના ફિલ્ટર પ્લાન્ટની યોજના/સંપની કામ તા.૧૪-૬-૨૦૧૬ માં મંજુર થયેલ છે પરંતુ વહીવટી મંજુરી પણ મળી ગયેલ હોય છતાં પણ આ સંપનું કામ શરુ ન થતા ટંકારાની પ્રજાને પીવાના પાણી માટે તરસ્યા રહેવું પડે છે.ઉપરાંત પાણીની નવી પાઈપલાઈન નાખવાનું કામ પણ પૂર્ણતાના આરે છે આ પાઈપલાઈન દ્વારા પણ અશુદ્ધ પાણી વિતરણ થાય તો યોજના શોભાના ગાંઠીયા સમાન બની છે
જે પાણીના પ્રશ્ને ગત મંગળવારથી ગ્રામ પંચાયતના મહિલા સરપંચ એન.ડી ત્રિવેદી અને માજી સરપંચ ધર્મેન્દ્ર ત્રિવેદી એ દંપતીએ મામલતદાર કચેરી ખાતે ઉપવાસ આંદોલન શરુ કર્યું હતું અને બે દિવસ સુધી આંદોલન ચાલુ રહ્યા બાદ આજે ત્રીજા દિવસે પણ ઉપવાસી છાવણીમાં આંદોલન યથાવત હતું આજે ઉપવાસી છાવણીની મુલાકાતે જીલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારા, ડીડીઓ એસ.એમ. ખટાણાએ ગ્રાન્ટ મંજુર કરાવી આપવાની ખાતરી આપતા આંદોલન સમેટાયું હતું અને ઉપવાસીઓએ પારણા કર્યા હતા

