


મોરબી જીલ્લામાં નાની સિંચાઈ યોજનાના કામોમાં ભ્રષ્ટાચાર મામલે ઈજનેરે કરેલી ફરિયાદ બાદ પોલીસે નિવૃત મદદનીશ ઈજનેર અને એક ખાનગી પેઢીના પ્રોપ્રાઈટર સામે નાણા ઉચાપતની ફરિયાદ નોંધી બંને આરોપીની ધરપકડ કરી હતી અને આરોપીને રિમાન્ડ પર સોપવામાં આવ્યા છે ત્યારે પોલીસની ટીમે કોભાંડમા સ્થળ વિઝીટ કરનાર અધિકારીઓના નિવેદનો નોંધ્યા છે
મોરબી જીલ્લા પંચાયતના સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેર એસ.પી.ઉપાધ્યાયે આરોપી સી.ડી. કાનાણી મદદનીશ ઈજનેર અને હાલ નિવૃત તેમજ સસ્ટેનેબલ કન્ટ્રકશન મેનેજમેન્ટ રાજકોટના પ્રોપ્રાઈટર ચૈતન્ય જયંતીભાઈ પંડ્યા રહે રાજકોટએ બંને આરોપીએ નાની સિંચાઈ યોજનાના જળ સંચય કામોમાં ખોટા નકશા તેમજ ખોટા બીલો બનાવીને સરકારને મોકલીને વર્ષ ૨૦૧૭-૧૮ અને ૨૦૧૮-૧૯ ના વર્ષમાં થયેલા કુલ ૩૩૪ કામો પૈકી ૪૬ કામોમાં ગેરરીતી આચરીને ૬૬,૯૧,૭૯૨ ની રકમની સરકારી નાણાની ઉચાપત કરી હોવાની ફરિયાદ કરી હતી જે ફરિયાદ બાદ એ ડીવીઝન પીઆઈ આર જે ચૌધરીએ નિવૃત મદદનીશ ઈજનેર અને ખાનગી પેઢીના સંચાલક એ બંનેની અટકાયત કરી આરોપીને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજુ કરતા બંને આરોપીને અગામી તા. ૦૫ સુધીના પોલીસ રિમાન્ડ પર સોપવામાં આવ્યા છે
તો ફરિયાદ પૂર્વે જ કોભાંડની તપાસ માટે ગાંધીનગરની ટીમ આવી હતી અને સ્થળ તપાસ કરીને ભ્રષ્ટાચાર થયાનો રીપોર્ટ આપ્યો હતો ત્યારે તપાસ ચલાવતી એ ડીવીઝન ટીમે સ્થળ તપાસ કરનાર તમામ એટલે કે ૧૦ જેટલા અધિકારીઓનાં નિવેદન નોંધ્યા છે તેમજ એ ડીવીઝન ટીમ પણ જાતે સ્થળ તપાસ કરીને સિંચાઈ કોભાંડની સઘન તપાસ ચલાવી રહી છે