મોરબીની પી.જી.પટેલ કોલેજ પરિવાર-વિદ્યાર્થીઓ હરિદ્વાર ખાતે યોગ શિબિરમાં જોડાયા
મોરબી જીલ્લાની પી.જી પટેલ કોલેજ દ્વારા શિક્ષણની સાથે સાથે ઘણી બધી સેવાકીય અને સમાજ ઉપયોગી પ્રવૃતિઓ થતી રહે છે જે અંતર્ગત મોરબીની પી.જી.પટેલ કોલેજ દ્વારા શ્રી મહર્ષિ રાજર્ષિમુની પ્રેરિત શ્રી લકુલીશ યોગ આશ્રમ – હરિદ્વાર ખાતે તા ૨૫/૦૫/૨૦૨૩ થી ૨૯/૦૫/૨૦૨૩ યોગ ગુરુ ડો.દારા સાહેબના અધ્યક્ષસ્થાને પાંચ દિવસીય યોગ શિબિર નું આયોજન કરવામાં આવ્યું છે.
આ યોગ શિબિરમાં પી.જી.પટેલ કોલેજના પ્રમુખ દેવકરણભાઈ આદ્રોજા, આચાર્ય ડો. રવિન્દ્ર ભટ્ટ, પી.જી.પટેલ કોલેજનો સ્ટાફ અને વિધાર્થીઓ તેમજ સાર્થક વિદ્યા મંદિર – મોરબીના મુખ્ય સંચાલક કિશોરભાઈ શુક્લ,મોરબી જીલ્લાની સરકારી શાળાના ત્રણ આચાર્ય અલ્પેશભાઈ પુજારા (સજ્જનપર પ્રાથમિક શાળા), રાકેશભાઈ રાઠોડ (ભીમગુડા પ્રાથમિક શાળા) તેમજ રાજેન્દ્રભાઈ વ્યાસ (રાયધરા પ્રાથમિક શાળા) અને ઓમ શાંતિ સ્કૂલના જશવંતભાઈ મીરાણી પણ આ શિબિરમાં જોડાયા હતા.
પી.જી.પટેલ કોલેજમાં છેલ્લા સાત વર્ષોથી દરરોજ સવારે યોગથી જ શિક્ષણકાર્યની શરૂઆત કરવામાં આવે છે આ યોગની પ્રેક્ટીસ થકી જ કોલેજના વિધાર્થીઓ નામાપદ્ધતિ અને આકડાશાસ્ત્ર જેવા મુખ્ય વિષયોમાં યુનિવર્સીટી કક્ષાએ 100 માંથી 100 ગુણ, મોરબી જીલ્લામાં પ્રથમ ક્રમાંક અને યુનિવર્સીટી ટોપ 10 જેવા ઉચ્ચ પરિણામો પ્રાપ્ત કરે છે. આ યોગ શિબિરનું આયોજન વિદ્યાર્થીઓ અને પ્રાધ્યાપકોમા યોગ પ્રત્યે રસ-રુચિ કેળવાય અને યોગ દ્વારા પ્રાધ્યાપકોની અધ્યાપન ક્ષમતા અને વિધાર્થીઓમાં એકાગ્રતા અને અધ્યયન ક્ષમતા વધે તેવા ઉમદા હેતુસર કરવામાં આવ્યું હતું.