


વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશનું સુકાન સાંભળ્યા બાદ દેશને ગંદકી મુક્ત બનાવવા દેશવ્યાપી સ્વચ્છતા અભિયાન શરુ કર્યું છે જેનાથી પ્રેરાઈને આજે મોરબીની ખાનગી ઘડિયાળ કંપનીના એમડી, કર્મચારીઓએ સ્વચ્છતા અભિયાન શરુ કર્યું હતું.
મોરબી સ્થિત અજંતા કંપની ઘડિયાળ ક્ષેત્રે વિશ્વ વિખ્યાત છે જે અજંતા ગ્રુપના ઓપરેટ કંપનીના મોભી પ્રવીણભાઈ ઓધવજીભાઈ પટેલે મોરબીના રણીયામણું બનાવવાના સંકલ્પ સાથે આજે સ્વચ્છતા અભિયાનનો શુભારંભ કર્યો હોય જેમાં ફેકટરીના ૮૦ થી વધુ કર્મચારીઓ, ૩ ટ્રેક્ટર અને એક લોડર સાથે નવા બસ સ્ટેન્ડ ખાતે સ્વચ્છતા અભિયાન શરુ કર્યું હતું જે પ્રસંગે સાંસદ મોહનભાઈ કુંડારિયા, જીલ્લા કલેકટર આર.જે. માકડિયા, ચીફ ઓફિસર ગીરીશ સરૈયા, ડેપો મેનેજર અશોક કરમટા તેમજ માતૃવંદના ટ્રસ્ટના મહેશભાઈ ભોરણીયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે સાંસદ મોહનભાઈ કુંડારિયાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારતના સ્વપ્નને સાકાર કરવાના સંકલ્પમાં દરેક નગરના લોકોએ જોડાવવું જોઈએ અને અજંતા કું. ના પ્રવીણભાઈ દ્વારા આ ઉમદા કાર્યમાં આગળ આવવા બદલ અભિનંદન પાઠવ્યા હતા તો જીલ્લા કલેકટર માંકડિયાએ વર્તમાન સમયમાં સફાઈનું ખુબ મહત્વ હોવાનું જણાવી આ બાબતે અન્ય સંસ્થાઓ આગળ આવે અને પ્રજાજનો પણ સફાઈ રાખવા બાબતે સજાગ બને તેવી અપીલ કરી હતી.
પ્રવીણભાઈ પટેલે પોતાનો અભિપ્રાય આપતા જણાવ્યું હતું કે આ બસ સ્ટેશન કે જ્યાંથી હજારો વિદ્યાર્થીઓ અપડાઉન કરે, મોટી સંખ્યામાં મુસાફરો અહીંથી મુસાફરી કરતા હોય ત્યારે આ બસ સ્ટેશન અમારા અજંતાની ફેક્ટરી જેવું નીટ એન્ડ ક્લીન હોવું જોઈએ આ બસ સ્ટેશનમાં ૧૦૦ થી વધારે લીમડા સહિતના વૃક્ષો વાવવા, મુસાફરો માટે નવી આરામદાયક ખુરશી મુકવી અને પાણીની બોટલનો નાશ કરતા મશીન મુકવા સહીતની કામગીરી કરીને મોરબીના નવા બસ સ્ટેશનને નમુનારૂપ બનાવવાની નેમ વ્યક્ત કરી હતી.

